અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં દુકાનો ધમધમવા લાગી
અમદાવાદ : લોકડાઉન 4માં રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નાના મોટા વેપારીઓને દુકાનો ખોલવાની પરવાનગી આપી છે. ત્યારે અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં આજે સવારે મોટા ભાગની દુકાનો ખોલી દેવામાં આવી છે. દરેક દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સનાં પાલન સાથે લોકો ખરીદી કરી રહ્યા છે. ઘણી બધી દુકાનોમાં ગ્રાહકોને બહારથી જ વસ્તુ આપી દેવાય છે. વેપારીઓએ દુકાનના પ્રવેશદ્વારને દોરી વડે બંધ કરી દીધો છે. સૌથી વધારે ભીડ આજે પાન-મસાલાનું વેચાણ કરતા દુકાનોમાં જોવા મળી છે. સ્થાનિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને પાનના ગલ્લા પર લાઈનમાં ઉભા રહ્યા જણાયા. બીજી તરફ હેર સલૂનમાં પણ કોરોનાની સતર્કતા સાથે લોકોની ભીડ જોવા મળી છે. જોકે વેપારીઑના જણાવ્યા પ્રમાણે હજુ કેટલીક જગ્યાએ ગ્રાહકો સહકાર આપતા નથી. છેલ્લા 54 દિવસ બાદ આજથી દુકાનો ખોલી છે પરંતુ ધંધાની જમાવટ થતાં હજુ વાર લાગશે.
અમદાવાદના શોપિંગ કોમ્પલેક્ષોમાં પ્રોપર્ટી નંબરમાં એકી- બેકી સંખ્યાના આધારે વેપારીઓ દુકાનો આજથી ખોલી શકશે. સુરત, અમદાવાદ જેવા મોટા શહેરોમાં દિલ્હીની માફક ભીડભાડ ઘટાડવા ઓડ-ઇવન પદ્ધતિ દાખલ કરાઈ છે. આમાં 50 ટકા દુકાનો એક દિવસે ચાલુ રહેશે અને 50 ટકા દુકાનો બીજા દિવસે ચાલુ રહેશે. આ પદ્ધતિમાં કઈ દુકાનો ક્યારે ચાલુ રાખવી તે બાબત સ્થાનિક દુકાનદારો અને તંત્ર ભેગા મળીને નક્કી કરશે. બહુવિધ પ્રોપર્ટી નંબર ધરાવતી દુકાનો એકી તારીખે જ ખોલવા આદેશ કરવામાં આવ્યો છે. સિંગલ દુકાનો કાયમી એટલે રોજ ચાલુ રાખી શકાશે.પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં પશ્ચિમ વિસ્તારમાં જ તમામ દુકાનો અને ધંધા ખોલી શકશે. જાહેરનામા મુજબ નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો અને વેપારધંધા ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.