બોમ્બે હાઇકોર્ટે આર્યન જામીન આપી
ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર ગઈકાલે 27 ઓક્ટોબરના રોજ સુનાવણી થઈ હતી. ત્રણેય આરોપી (આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા)ના વકીલોએ દલીલો પૂરી કરી હતી. આજે 28 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) તરફથી કેસ લડતા ASG (એડશિનલ સોલિસિટર જનરલ) અનિલ સિંહ પોતાની દલીલો કરી હતી. બંને પક્ષકારોને સાંભળ્યા બાદ બોમ્બે હાઇકોર્ટે આર્યન ખાન, મુનમુન ધામેચા તથા અરબાઝ મર્ચન્ટના જામીન મંજૂર કર્યા હતા. આર્યન સહિત 8 આરોપી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી NCBના લૉકઅપમાં હતા. 8 ઓક્ટોબરથી આર્યન સહિત 6 આરોપી આર્થર રોડ જેલમાં બંધ છે અને મુનમુન ધામેચા તથા નપુર ભાયખલ્લા જેલમાં છે. જામીન અરજી મંજૂર કર્યા બાદ હાઇકોર્ટે કહ્યું હતું કે કારણો, જામીનની શરતો સાથેનો આખો ચુકાદો આવતીકાલે (29 ઓક્ટોબર) આપવામાં આવશે. એટલે કે આર્યન ખાને આજની રાત પણ જેલમાં જ પસાર કરવી પડશે. કોર્ટ ઓર્ડર આપે પછી જ આર્યન ખાન જેલમાંથી બહાર આવી શકશે.