બંધાણીઓ માટે સૌથી મોટી રાહતના સમાચાર, પાન-મસાલાની દુકાનો રાજ્યમાં ખુલી શકે છે
રાજ્યમાં જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ છે ત્યારથી પાન અને મસાલાની દુકાનો બંધ છે. જેને કારણે તમાકુના બંધાણીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રાજ્યમાં તમાકુને લઈને આપઘાત અને હત્યા સુધીના પણ બનાવો બની ચૂક્યા છે. તેવામાં તમાકુના બંધાણીઓ માટે રાહતના સમાચાર આજે આવી શકે છે. આજે સરકાર કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર પાન અને મસાલાની દુકાનોને ખુલ્લી રાખવાની મંજૂરી આપી શકે છે. જો કે અમદાવાદ અને સુરતવાસીઓને કદાચ નિરાશ થવું પડી શકે છે.
રાજ્યમાં લોકાડાઉન શરૂ થયું ત્યારથી જ તમાકુના બંધાણીઓ ક્યારે ગલ્લા ખૂલે તેની રાહ જોઈને બેસી રહ્યા છે. તો ગલ્લા બંધ રહેતાં તમાકુની વસ્તુઓની ધૂમ કાળાબજારી પણ શરૂ થઈ ગઈ હતી. ૫ રૂપિયાની પડીકીનાં લોકો ૪૦ રૂપિયા આપતાં હતા. તેવામાં હવે લોકડાઉન ૪ની જાહેરાત બાદ રાજ્યમાં પાન અને મસાલાની દુકાનો ખોલવા માટે સરકાર તૈયારી કરી રહી છે.
પાનની દુકાન અને ચાની લારીઓ ખુલી શકે છે. પણ હજુ સરકાર અમદાવાદ અને સુરતમાં દુકાનો ખોલવાને લઈ અસમંજસમાં છે. અને અમદાવાદીઓ અને સુરતીઓને આ મામલે નિરાશા પણ હાથ લાગી શકે છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં કન્ટેઈન્મેન્ટ ઝોનની બહાર પાન-મસાલા અને ચાની લારીઓ ખુલી શકે છે. પણ આ માટે તેઓએ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડશે. અને મંગળવારથી તેનો અમલ શરૂ થશે.