સુરતમાં નવા ૩૨ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક ૧૦૫૩
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, નવા ૩૨ કેસ નોંધાતા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક ૧૦૫૩ પર પહોંચી ગયો છે. આ સાથે આજે બેના મોત થતા શહેર જિલ્લામાં મૃત્યુઆંક ૪૭ પર પહોંચી ગયો છે. જ્યારે ૫૬ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૬૮૭ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓ માટે કલરફુલ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પુરુષો માટે સકાઈ બ્લ્યુ અને મહિલાઓ માટે લાઈટ યલો કલરનો ડ્રેસ રાખવામાં આવ્યો છે.
લિંબાયતમાં મદનપુરામાં રહેતા ૪૭ વર્ષીય ચિતરંજન તિલોકચંદ બેબ્રાતા ગત ૩ મેએ શ્વાસ સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં કોરોનાના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલ્યા હતા બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજ રોજ તેમનું કરૂણ મોત નિપજયું હતું. જોકે, ચિતરંજનને ડાયાબિટીસ અને લોહીની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
શહેર જિલ્લામાં ગુરૂવારે ૬ મહિનાની બાળકી સહિત ૬૫ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને કાપોદ્રા એસએમસી આવાસ ખાતે રહેતા રાઠોડ પરિવારની ૬ મહિનાની પુત્રી આરોહી સુનિલભાઈ રાઠોડનો પણ સમાવેશ થયો હતો. ગુરુવારે સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાંથી શહેરના ૫૭ દર્દીઓ તેમજ જિલ્લાના ૮ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા હતા. જેથી તમામને રજા આપી દેવામાં આવી હતી.
શહેરમાં ગુરુવારે વધુ ૧૪ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં ગુરુવારે એક પણ કેસ નોંધાયો ન હતો. આ સાથે શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૨૧ થઈ ગઈ છે. ગુરુવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં વધુ એક એસઆરપી જવાન, શાકભાજી વિક્રેતા, આરટીઓ એજન્ટ, એકાઉન્ટન્ટ અને ટેલરનો સમાવેશ થયો છે.