લોકડાઉન : ૧૮મીથી ગુજરાતમાં લોકડાઉન હળવું થશે, શાળા-કોલેજો તો જૂનના બીજા અઠવાડિયામાં જ ખુલી શકે
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ખોલવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દેવાઈ છે. જેમાં કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા શહેરો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી અહેવાલ મેળવવામાં આવ્યો છે. જેના આધારે બે દિવસમાં જાહેરનામાં બહાર પાડવાની શરૂઆત કરાશે. ખાસ કરીને ઉદ્યોગ ધંધાની સાથે શાળા કોલેજ શરૂ કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે, જેમાં શાળાઓ જૂનના બીજા અઠવાડિયામાં ચાલુ કરવા અને તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક પહેરવાનો આદેશ આપવામાં આવી શકે છે.
શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યા અનુસાર સ્કૂલો ખૂલશે ત્યારે બાળકોને માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવવામાં આવી શકે છે. એટલું જ નહીં બે બાળક વચ્ચે એક મીટરનું અંતર રાખવાનો પણ નિયમ બનાવવામાં આવશે. શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં શૈક્ષણિક સત્ર શરૂ થઇ રહ્યું છે પરંતુ તારીખ અંગે હજી દ્વીધા છે.
રાજ્યમાં શિક્ષણ ઉપરાંત, આરોગ્ય, ઉદ્યોગ, શ્રમ અને રોજગાર, પંચાયત, શહેરી વિકાસ, ગૃહ સહિતના પ્રજા સાથે સીધા સંકળાયેલા વિભાગોમાં વિવિધ પ્લાનની કામગીરી ચાલી રહી છે. નવા રૂપરગં સાથેનું લોકડાઉન અંગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશ મુજબ મુખ્યમંત્રી રૂપાણીએ પણ કહ્યું છે કે કેન્દ્રના આદેશ અને ગાઇડલાઇન પ્રમાણે ગુજરાત તેને અનુસરવા માગે છે. જો કે આરોગ્ય અને સલામતીના પગલાં રાજય સરકાર નક્કી કરશે.
૧૭ મે પછી રાજ્યની આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે. જેમાં અનેક ઉદ્યોગ ધંધા ખોલવા માટેના નિયમો પણ બનાવ્યા છે. લોકડાઉન પછી શહેરની અંદર પ્રવેશવાની ચેકપોસ્ટમાં વધુ કડક ચેકીંગ કરાશે.
અમદાવાદમાં ૧૫ મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ–અલગ પ્રકારનાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખુલશે. જેમાં રેડ અને ઓરેન્જ ઝોનમાં કેટલાક કલાક માટે દુકાનો ખોલવામાં આવી શકે છે. શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે. આમ ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યના શહેરી વિસ્તારના મુખ્ય બજારો સવારના ૯ થી સાંજના ૫ વાગ્યા સુધી ખુલવા દેવાશે, પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
૧૮ મે બાદ સ્કૂલો અને ઉદ્યોગ-ધંધા તો શરૂ થશે,પરંતુ મોલ્સ,ધાર્મિક સ્થાનો અને સિનેમાગૃહો જેવા ભીડભાડ વાળા વિસ્તારોમાં ખૂબ તકેદારી રાખીને જૂનથી રાહતો આપવામાં આવે તેવી સંભાવના છે. રાજયની હોટલો અને રેસ્ટોરન્ટ સહિત લગન સમારભં કે પાર્ટીની છૂટ અપાશે પરંતુ તેના નિયમો અલગ પ્રકારના હશે. હોટેલ–રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે.