![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/phpThumb_generated_thumbnail-10.jpeg)
ગુજરાત કોરોના : રાજ્યમાં વાઈરસ બેકાબૂ, ૨૪ કલાકમાં ૨૪ લોકોનાં મોત, કુલ પોઝિટિવ દર્દી, ૭૪૧૦ જ્યારે મૃત્યુઆંક ૪૪૯
રખેવાળ, ગાંધીનગર.
ભાવનગરમાં મોડી રાત્રે નોંધાયેલા નવા સાત કેસ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૭૪૧૦ થઇ ગઇ છે. જ્યારે મૃત્યુઆંક ૪૪૯એ પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૧૮૭૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ૨૪ કલાકની કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ૩૯૦ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૨૪ દર્દીના મૃત્યુ થયા છે. તો ૧૬૩ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. નવા નોંધાયેલા ૩૯૦ કેસોમાં અમદાવાદમાં ૨૬૯ જ્યારે સુરત અને વડોદરામાં ૨૫-૨૫ કેસ તો અરવલ્લીમાં ૨૦ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યની ૬.૮૦ કરોડની વસ્તીમાં હાલ દર દસ લાખે ૧૦૯ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ છે. આ દર સમગ્ર દેશમાં દસ લાખે માત્ર ૪૩ લોકો કોરોના પોઝિટિવ હોવાનો છે. આમ જોઇએ તો સમગ્ર દેશમાં દસ લાખે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ કરતાં ગુજરાતની સરેરાશ બમણાંથી પણ વધુ છે.ગુજરાતમાં પહેલી મેથી સાતમી મે સુધીમાં નવા નોંધાયેલાં પોઝિટિવ કેસની સંખ્યા રોજના સાત ટકાના ઉછાળા સાથે વધી છે.
રાજયમાં કોરોના કેસ વધી રહ્યા છે,તેમાં પણ અમદાવાદમાં સ્થિતિ વધારે નાજુંક હોવાથી તે ચેપ અન્ય શહેરોમાં પણ ફેલાઇ રહ્યો છે. આથી કોરોનાના મહામારી વચ્ચે કોલેજોનું તા. ૧૬મી મેના રોજ પુરું થનારું વેકેશન ખોલવામાં આવે તો વધુ કેસનો ફેલાવો થાય તેમ છે. વળી,સમગ્ર દેશમાં લોકડાઉન તા. ૧૭મી મે સુધી છે. આવા સંજોગોમાં રાજય સરકારે તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તે સંલગ્ન કોલેજોમાં ઉનાળું વેકેશન તા. ૨૦મી જૂન સુધી રાખવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં જે પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ હાલ કામ કરી રહ્યો છે અને કોરોનાના દર્દીઓની સેવામાં રોકાયો છે તેમને વધારાનું વળતર ચૂકવવામાં આવશે. તબીબોને ૨૫,૦૦૦, નર્સિંગ અને અન્ય પેરામેડિક સ્ટાફને ૧૫,૦૦૦ જ્યારે અન્ય ટેકનિશિયન કે વોર્ડના કર્મચારીઓને ૧૦,૦૦૦ પ્રતિમાસ વળતર અપાશે.