![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/08/gef-2.jpg)
કોંગ્રેસે કહ્યું- 5000 નેતાઓના ખાતા બ્લોક, ટ્વિટરે કહ્યું- નિયમ ના માન્યા
કોંગ્રેસે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. હકીકતમાં પાર્ટીનો ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ બ્લોક થઈ ગયું હતું. તે પહેલા શનિવારે રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ હંગામી રીતે સસ્પેન્ડ કરાયું હતું. ત્યારપછી બુધવારે રાત્રે કોંગ્રેસના વધુ 5 નેતાઓના ટ્વિટર એકાઉન્ટ બ્લોક થયા.
તેમાં પક્ષના મહાસચિવ અને પૂર્વમંત્રી અજય માકન, લોકસભામાં પક્ષના વ્હિપ મણિકમ ટેગૌર, આસામ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુસ્મિતાસિંહ સામેલ છે.
પક્ષે ટ્વિટર ખાતા બ્લોક થવા માટે મોદી સરકારના ઇશારે પગલાં ભરાયા હોવાનું કહ્યું હતું. પક્ષના સોશિયલ મીડિયા એકમના વડા રોહન ગુપ્તાએ કહ્યું કે અમારા લગભગ 5 હજાર નેતાઓના ખાતા બ્લોક કરાયા છે. ટ્વિટરે કહ્યું કે નિયમ ના માનવાને કારણે પગલું ભરાયું છે.
ટ્વિટરે કહ્યું કે કોંગ્રેસ નેતાઓના ખાતા ભારતીય કાયદા અને ટ્વિટરની પોલીસીનું ઉલ્લંઘન કરતા હોવાથી બ્લોક કરાયા છે. રાહુલે દલીત બાળકીના વાલીની તસવીર પોસ્ટ કરી હતી. પોક્સો એક્ટ મુજબ તે ઉલ્લંઘન છે. કાયદામાં સ્પષ્ટ કહ્યું છે કે પીડિતની ઓળખ જાહેર થવી જોઈએ નહીં. પક્ષના અન્ય નેતાઓએ એ તસવીર શેર કરી આથી તેમના ખાતા પણ બ્લોક કરાયા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ટ્વિટરે તેની નીતિ અનુસાર કામ કરવાનું છે કે મોદી સરકાર કહે તેમ? તેમણે અનુસૂચિત જાતિ આયોગનું ટ્વિટર એકાઉન્ટ કેમ બંધ કર્યું નહીં? કારણ કે તેણે પણ એ તસવીરો જ ટ્વિટ કરી હતી.