![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/1_2019-12-25_09-31-34.jpg)
બનાસકાંઠાના સરહદી તાલુકામાં ફરીથી તીડનું આક્રમણ
રખેવાળ, બનાસકાંઠા
ગુજરાતમાં ફરી એકવાર તીડનો આતંક જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા સહિતનાં વિસ્તારોમાં ભારે તબાહી મચાવ્યા બાદ એકવાર ફરીથી તીડનો ઝૂંડ બનાસકાંઠામાં ઘૂસી ચૂક્યા છે. બનાસકાંઠાના સરહદી તાલુકામાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે. જો કે સીએમઓ સવિચ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, તીડનો સામનો કરવા માટે ગુજરાત સરકારે તૈયારીઓ કરી લીધી છે.
રાજસ્થાનના જેસલમેર, બાડમેર અને પંજાબ બોર્ડર સુધી તીડના ટોળેટોળાં છે. તેવામાં તીડનાં આ ઝૂંડે હવે ગુજરાતમાં પણ પ્રવેશ કરી લીધો છે. અગાઉ સીએમઓ સવિચ અશ્વિની કુમારે ગુજરાતમાં તીડ નહીં પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. પણ આજે બનાસકાંઠાના સરહદી તાલુકામાં તીડના ઝૂંડેઝૂંડ દેખાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. બનાસકાંઠાના વાવ વિસ્તારના મીઠાવી ચારણ ગામ અને રણ વિસ્તારમાં તીડ ત્રાટક્યા હતા. તીડને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ફરી એકવાર તીડને કારણે પાકને નુકસાન થશે.
કેન્દ્રીય તીડ મંડળે સરહદના જિલ્લાના તમામ કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સાવચેતીના પગલા ભરવાની તાકીદ કરી હતી. આવા સંજોગોમાં ગુજરાત સરકારે પણ ગુજરાતમાં રાજસ્થાન નજીકના જિલ્લામાં તેમજ પાકિસ્તાન સરહદ નજીકના વિસ્તારમાં તીડ આવે તો તેનો સામનો કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હોવાનું મુખ્યમંત્રીના સચીવ અશ્વિની કુમારે જણાવ્યું હતું.