આંધી કરા સાથેના ચક્રવાતે થરાદ – વાવ પંથકને ઘમરોળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : રાજ્યના હવામાનવિભાગ દ્વારા કરવામાં આવેલી ગરમી સાથેની આગાહી સાચી પડતાં મંગળવારની સાંજે રાજ્યના અનેક જીલ્લાઓ સહિત બનાસકાંઠાના સરહદી થરાદ વાવ પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જે કોરોનાના કહેર વચ્ચે ભર ઉનાળે માવઠા સ્વરૂપે માઠા સમાચારમાં ફેરવાયો હતો. દક્ષિણ દિશામાંથી ભારે પવનના સુસવાટા સાથે પ્રથમ આંધી આવી હતી. જેની પાછળ પાછળ કમોસમી વરસાદ અને કરા પણ પડ્‌યા હતા. વાતાવરણમાં શિતળતા પ્રસરતાં બાળકોએ ન્હાવાની પણ મજા લીધી હતી. નોનસ્ટોપ વિજળીના ચમકારા અને વાદળોના ગડગડાહટ સાથેના કુદરતના રોદ્ર રૂપે ચારે બાજુથી સરહદી પંથકને ઘમરોળતાં થરાદ વાવ અને સુઇગામ પંથકના અનેક વૃક્ષો ધરાશયી થયાં હતાં. અનેક ખેડુતો અને શ્રમજીવીઓનાં છાપરાં પણ ઉડ્‌યાં હતાં. હોર્ડીગ્સ પણ પવનના કારણે ફાટ્યાં હતાં. થરાદ શહેર અને ગ્રામ્યવિસ્તારોની પ્રજાના ઘરોમાં ધુળના થર જામતાં પ્રજાજનોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્‌યો હતો.

એકબાજુ કોરોનાના કહર વચ્ચે બીજીબાજુ સરહદી વિસ્તાર એવા સુઇગામના ગોલપ નેસડા, પાડણ, ફાંગડી થરાદના ભોરડું સહિત અનેક ગામોમાં કરા સાથે જોરદાર કમોસમી વરસાદી જોરદાર ઝાપટું ભારે પવન આવતાં ખેડુતોના ખેતરોમાં ઉભેલો બાજરી, જુવાર,અરંડા જેવા પાકને જમીનદોસ્ત કરતો ગયો હતો. જેને કારણે ખેડુતોની ચિંતા વધવા પામી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે દસ દિવસ પુર્વે પણ પવન અને કરા સાથેના કમોસમી વરસાદે સરહદી પંથકમાં ભારે નુકશાન કર્યું હતું. ચક્રવાત સાથે વિજપુરવઠો પણ ડુલ થઇ જતાં પ્રજાજનોની હાલત વધુ કફોડી બનવા પામી હતી.જો કે રાત્રે પોણા નવે વિજળી પરત ફરતાં બે કલાક બફાયા બાદ થોડી રાહત અનુભવી હતી.જોકે એકાદ કલાકના વિરામ બાદ રાત્રે નવ વાગ્યે ફરીથી પાછો એ જ માહોલ સર્જાતાં પંથકમાં ફફડાટ પ્રસરવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.