પાટણમાં વાવાઝોડાથી ઇલેક્ટ્રીક પોલ ધરાશાઇ, મહિલાનું મોત
કોરોના કહેર વચ્ચે તાઉ-તે વાવાઝોડાએ હાલ રાજ્યના મોટાભાગના જીલ્લાઓને બાનમાં લીધુ છે. આ તરફ હવે પાટણ જીલ્લામાંથી ચોંકાવનારા અને દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગઇકાલે રાત્રે ઘરની બહાર સુઇ રહેલાં પરિવાર પર વીજપોલ ધરાશાઇ થતાં મહિલાનું મોત થયુ છે. પ્રાથમિક વિગતો મુજબ રહેણાંક મકાન નજીક લીમડાનું ઝાડ વાવઝોડાને કારણે ધરાશાઇ થતાં વાયર ખેંચાતાં વીજ પોલ ધરાશાઇ થયો હતો. જેમાં મહિલાને ગંભીર ઇજાઓને કારણે સારવાર અર્થે ખસેડાયા બાદ મોત થતાં ચકચાર મચી ગઇ છે.
પાટણ જીલ્લા અને શહેરમાં ગઇકાલે રાત્રે ભારે પવન સાથે વાવઝોડું આવ્યુ હતુ. જેમાં મોતીસા દરવાજા બહાર આવેલ હરીનગરમાં રહેતાં પરિવારની મહિલા પર વીજપોલ પડતાં સારવાર દરમ્યાન મોત થયુ છે. વિગતો મુજબ રાવળ પરિવારના ત્રણ સભ્યો રવિવારની રાત્રે પોતાના ઘર આગળ ખાટલા પાથરીને સુઇ રહ્યા હતા. આ દરમ્યાન વાવાઝોડાના કારણે લીમડાનું વૃક્ષ ધરાશાયી થયુ હતુ. જોકે વૃક્ષ પડતાં ઈલેક્ટ્રીક વાયર ખેંચાવાના કારણે ઇલેક્ટ્રીક પોલ ધરાશાઇ થતાં મહિલા પર પડ્યો હતો. જેથી ગંભીર ઇજાઓને કારણે મહિલાનું સારવાર વચ્ચે મોત થયુ છે.
ગઇકાલે રાત્રે બનેલી ઘટનામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે વધુ ઇજાઓ પહોંચી હોઇ તેમને ત્યાં શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમ્યાન તેમનું કરૂણ મોત થયુ છે. સમગ્ર ઘટનાને લઇ મૃતકના પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા.