![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/04/baroda-gidc-960x640-2.jpg)
દેશમાં 24 કલાકમાં 72 હજારથી વધુ સંક્રમિત નોંધાયા, 458નાં મૃત્યુ; નવા દર્દીઓનો આંકડો છેલ્લા 172 દિવસમાં સૌથી વધુ
દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અહીં બુધવારે 72,072 સંક્રમિતો નોંધાયા છે, 40,417 લોકો સાજા થયા અને 458 દર્દીનાં મૃત્યુ થયાં છે. નવા દર્દીઓના આંકડા છેલ્લા 172 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 10 ઓક્ટોબર 74,418 કેસ આવ્યા હતા. મૃત્યુઓનો આ આંકડો છેલ્લા 116 દિવસમાં સૌથી વધુ છે. આ પહેલાં 5 ડિસેમ્બરે 482 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.22 કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે, 5.80 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.
કોરોનાં અપડેટ્સ
1. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે RT-PCR ટેસ્ટના રેટ નક્કી કર્યા છે. કલેક્શન સેન્ટર પર ટેસ્ટ કરાવવા પર હવે 500 રૂપિયા આપવા પડશે. કોવિડ સેન્ટર, ક્વોરન્ટીન સેન્ટર અને આઈસોલેશન સેન્ટર પર એના માટે 600 અને ઘરે ટેસ્ટ કરાવવા માટે 800 રૂપિયાથી વધુની રકમ લઈ શકાશે નહિ.
2. જે રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યાંથી દિલ્હી આવનારા મુસાફરીનું રેન્ડમ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. એના ભાગરૂપે તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને ઈન્ટર-સ્ટેટ બસ ટર્મિનસમાં રેન્ડમ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
3. દેશના પૂર્વ વડાપ્રધાન અને JDS નેતા એચડી દેવગૌડાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ બુધવારે સોશિયલ મીડિયા દ્વારા આ અંગેની માહિતી આપી છે. દેવગૌડા સિવાય તેમનાં પત્ની ચેન્નામાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
4. 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. આ અંતર્ગત વેક્સિન લેવા માટે લોકો CoWin પોર્ટલ પર 1 એપ્રિલ એટલે કે ગુરુવાર બપોર પછી રજિસ્ટ્રેશન કરી શકશે. એ પછી તેઓ સરકારી કે કોઈ ખાનગી હોસ્પિટલમાં જઈને વેક્સિન લઈ શકશે.