કોરોના : ગૃહમંત્રાલયે બધા રાજ્યોને કહ્યું- લૉકડાઉનમાં અખબાર વિતરણ થાય, તેના પર પ્રતિબંધ નથી
નવી દિલ્હી
કેન્દ્રીય ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે અખબારોનું વિતરણ પણ સપ્લાય ચેઈન હેઠળ અપાયેલી રાહત હેઠળ આવે છે. તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓ અને અખબારના ટ્રાન્સપોર્ટેશનને મંજૂરી આપે. કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ કહ્યું કે આ અંગે તમામ રાજ્યોને પત્ર પણ લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે પ્રિન્ટમીડિયા અને અખબારોનું વિતરણ પણ આવશ્યક ચીજવસ્તુની શ્રેણીમાં સામેલ છે. તેમાં કઈ-કઈ ચીજવસ્તુઓનું વહન થઈ શકશે અને કઈ ચીજવસ્તુઓને મંજૂરી આપવામાં આવી છે તેની સ્પષ્ટતા પણ કરાઈ છે.
ગૃહમંત્રાલયે કહ્યું છે કે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની સેવાઓને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ આવરી લેવાઈ છે. જમીની સ્તરે આ જોગવાઈનું પાલન કરાવવા દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવાયું છે અને ૨૪ કલાક કંટ્રોલરૂમ ચાલુ કરવા પણ જણાવાયું છે. આ ઉપરાંત એક હેલ્પલાઈન પણ શરૂ કરાશે જેથી આંતરરાજ્ય આવાગમન કે અન્ય કોઈ વિતરણ અંગે સમસ્યા ઊભી થાય તો તેના પર ફરિયાદ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત મંગળવારે દેશમાં ૨૧ દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. આ લૉકડાઉન ૧૪ એપ્રિલ સુધી અમલમાં રહેશે.