પંજાબમાં બ્રિટેનના કોરોના વેરીયન્ટે યુવાનોને પણ સંક્રમીત કરવા લાગ્યા : સૌના માટે વેકસીન માંગતા મુખ્યમંત્રી
રાજ્યમાં 81 ટકા સેમ્પલમાં યુકેનો વેરીયન્ટ જોવા મળ્યો:હવે વેકસીનેશનને ખુલ્લુ કરી દેવુ જોઇએ : મહારાષ્ટ્રમાં પણ મુંબઇ અને પૂનાની વણસતી સ્થિતિ : મુખ્યમંત્રી ચિંતીત : વારંવાર લોકડાઉન-લોકડાઉન કરે છે
દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમાં હવે ખાસ કરીને પંજાબમાં હવે ચિંતાજનક સમાચાર છે. અહીં નવા પોઝીટીવ કેસમાં 81 ટકા સેમ્પલમાં યુ.કે.નું વેરીયન્ટ જોવા મળ્યું છે. જે વધુ ઝડપથી અને એકી સાથે વધુ લોકોને સંક્રમીત કરે છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંઘે આ અંગે જણાવ્યું કે આ યુ.કે.નો વેરીયન્ટ યુવાનને પણ સંક્રમીત કરી રહ્યો છે તેથી હવે આપણે સૌના માટે વેકસીન ઉપલબ્ધ બને તે જોવુ જરૂરી બની ગયુ છે. તેઓએ આ અંગે વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે અને તેમાં યુવાનોને કોરોનાથી સુરક્ષીત કરવા વેકસીનનો જથ્થો વધુ ઉપલબ્ધ બનાવવાની માંગ કરી છે.
તો બીજી તરફ મહારાષ્ટ્રમાં જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતાં મુખ્યમંત્રી ઉઘ્ધવ ઠાકરેએ ફરી એક વખત લોકડાઉનની શકયતામાં સરકાર ખુલ્લે મને વિચારી રહી છે તેવો સંકેત આપી દીધો છે. રાજયના આરોગ્ય મંત્રી રમેશ થોપે જણાવ્યુ હતું કે જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે તેનાથી સરકાર હવે ખાસ કરીને મુંબઇ, નાગપુર અને પુનેની સ્થિતિ અંગે ચિંતામાં છે. નાગપુર જો કે અગાઉથી જ લોકડાઉનમાં છે. પણ મુંબઇમાં કોઇપણ રીતે આંશિક નિયંત્રણોને વધુ વ્યાપક બનાવવાની તૈયારી છે.