અમદાવાદ : જનતા કર્ફ્યુ શહેર થંભી ગયું, રસ્તાઓ સૂમસામ
C5k8YB-Sjug
જનતા કરફ્યુ
અમદાવાદઃ કોરોના વાઈરસને નાથવા માટે પીએમ મોદીએ તમામ દેશવાસીઓને ૨૨ માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી. જેને લઈ રાજ્ય સરકારે તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જનતા કરફ્યુના પગલે એસટી, મ્ઇ્જી,રેલવે સ્ટેશન સહિત બંધ જોવા મળ્યા હતા.ઉપરાંત પરિમલ ગાર્ડન,લાલદરવાજા, મૂર્તિમંત કોમ્પલેક્ષ, માણેકચોક સોની બજાર સહિત શહેરના તમામ વિસ્તારો સજ્જડ બંધ રહ્યા છે. વહેલી સવારથી ગણતરીના વાહનો રોડ પર ફરતા જોવા મળ્યા હતા. લોકોએ દૂધ તેમજ જીવન જરૂરી ચીજ વસ્તુઓનો એક-બે દિવસ પહેલા જ સ્ટોક કરી લીધો છે. જેના કારણે શનિવારે કરિયાણા તેમજ દૂધની ડેરીએ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
એસ.ટી. બસો અને ટ્રાવેલ્સો બંધ હોવાથી બહારગામના અનેક મુસાફરો અમદાવાદમાં અટવાઈ પડ્યા હતા. ઉત્તર ગુજરાત તરફ જવા માટે સુભાષબ્રિજ એસ.ટી. બસ સ્ટેન્ડ પર મુસાફરો અટવાઈ પડ્યા હતા. રાજસ્થાન તરફ જવા માટે આવેલા કેટલાક મુસાફરો પણ બસો અને ટ્રેન બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. નાસિકથી વહેલી સવારે આવેલા યુવકે જણાવ્યું હતું કે અમારે મહેસાણા જવું છે પણ કોઈ જ સાધન નથી મળતું તેમજ ખાનગી વાહનચાલકો ડબલ ભાડું વસૂલી રહ્યા છે. બસો બંધ હોવાના કારણે ખાનગી અને રિક્ષાચાલકો લૂંટ ચલાવી રહ્યા છે. સુભાષબ્રિજથી મહેસાણા જવાના ૨૦૦થી ૨૫૦ રૂપિયા વસુલ કરી રહ્યા છે. મહેસાણાના રહેવાસીએ જણાવ્યું કે અમે સવારે બહારગામથી આવ્યા છીએ અને મહેસાણા જવા માટે એક કલાકથી અહીં ઉભા છીએ છતાં કોઈ વાહન મળી રહ્યું નથી.