![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/03/cowin-1614599603.jpg)
પ્રથમ દિવસે 25 લાખ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, 4 લાખથી વધુ લોકોને રસી મૂકવામાં આવી
દેશમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાના પ્રથમ દિવસે Co-Win પોર્ટલ પર લગભગ 25 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. એમાં 24.5 લાખ સામાન્ય લોકો અને બાકીના હેલ્થકેર અને ફ્રન્ટલાઈનવર્કર્સ સામેલ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 16 જાન્યુઆરીએ શરૂ થયેલા વેક્સિનેશનના 45મા દિવસે(સોમવારે) સાંજે 7 વાગ્યા સુધીમાં કુલ 4 લાખ 27 હજાર 72 લોકોએ કોરોનાની રસી લીધી છે. એમાં 3 લાખ 25 હજાર 485 લોકોને પ્રથમ ડોઝ અને એક લાખ એક હજાર 587 હેલ્થકેરવર્કર્સને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
હેલ્થ મિનિસ્ટ્રીના પ્રોવિઝનલ રિપોર્ટ મુજબ, પ્રથમ દિવસે 60 વર્ષથી વધુ ઉંમરના એક લાખ 28 હજાર 430 લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગંભીર બીમારીઓનો સામનો કરી રહેલા 45 વર્ષથી વધુ ઉંમરના 18850 લોકોને રસી આપવામાં આવી. ઓવરઓલ દેશમાં અત્યારસુધીમાં 1.47 કરોડ કોરોનાના ડોઝ આપવામાં આવ્યો છે.
બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. એની સાથે જ 45થી 60 વર્ષની ઉંમરના એવા લોકોને પણ વેક્સિન મુકાશે, જે ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારની ગણતરી મુજબ લગભગ 27 કરોડ લોકો આ કેટેગરીમાં આવે છે.
લોકો પોતાના ઘરની પાસેના સેન્ટર પર એપોઈન્ટમેન્ટ લઈ શકશે. હાલ સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં જ વેક્સિનેશન થઈ રહ્યું છે. આ લગભગ 12 હજાર છે. આયુષ્માન ભારત એમ્પેનલ્ડ હોસ્પિટલ કે CGHS હોસ્પિટલ્સ પણ એમાં સામેલ થશે, જે 12000 છે. આ રીતે કુલ 24 હજાર લોકેશન્સ પર વેક્સિનેશન થશે.
કોરોના વેક્સિન લગાવવા માટે પ્રથમ દિવસે એપ પર રજિસ્ટ્રેશનમાં આવેલી સમસ્યા પછી હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે Co-Win એપની જગ્યાએ વેબસાઈટ પર જ વેક્સિનેશન માટે એપોઈન્ટમેન્ટ લો. મંત્રાલયે કહ્યું હતું કે કોવિન એપ માત્ર કોવિડ-19 વેક્સિનના એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા મામલાઓ માટે છે. રજિસ્ટ્રેશન અને એપોઈન્ટમેન્ટ માટે નથી. હેલ્થ મંત્રાલયે કહ્યું હતું કે જો તમારે વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને એપોઈન્ટમેન્ટ લેવાની છે તો એના માટે https://www.cowin.gov.in/home પર જવું.
બીજા તબક્કાના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત ઘણા VVIPએ રસી લગાવી છે. મોદીએ સવારે દિલ્હી AIIMS પહોંચીને ભારત બાયોટેકની વેક્સિનન રસી લીધી. બીજી તરફ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. હવે 28 દિવસ પછી તેમને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે.