વન વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો સામે ફીટકાર
આખોલ પાસે સરકારી વન વિભાગની જમીન પર ઉભેલા 25 લીલાછમ વૃક્ષોની સામુહીક કતલ
ગરમીનો ઊંચો પારો ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં એક તરફ પર્યાવરણ જાળવણીની મોટી-મોટી વાતો અને કાર્યક્રમો યોજાય છે, ત્યારે બીજી તરફ ડીસા-ભીલડી હાઈવે પર આખોલ ગામ નજીક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં ફોરેસ્ટ વિભાગની માલિકીની જમીન પર ઉભેલા અંદાજે 25 જેટલા લીલાછમ વૃક્ષોનું રાતોરાત નિકંદન કાઢી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નવાઈની વાત તો એ છે કે આ ઘટના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીના હોમ ટાઉનમાં બની છે, જે તંત્રની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઊભા કરે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રિ દરમિયાન અજાણ્યા તત્વોએ કોઈ પણ પ્રકારની સત્તાવાર મંજૂરી વગર હાઈવે પરના આ કિંમતી વૃક્ષો કાપી નાખ્યા હતા. સવારે જ્યારે સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ પણ સમસમીને ચોંકી ઉઠ્યા હતા. લીલાછમ વૃક્ષોની જે રીતે સામુહિક કતલ ચલાવવામાં આવી તેનાથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.અને ચોમેરથી વન વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી વિરુદ્ધ ફિટકારની લાગણી વરસી રહી છે.
પર્યાવરણના નિકંદનની આ ઘટના બાદ વન વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ દોડતી થઈ છે, પરંતુ સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આ માત્ર દેખાવ છે.નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ રાત્રે સતત પેટ્રોલીંગ કરતી હોવાનો દાવો કરે છે, તો પછી આટલા મોટા પ્રમાણમાં વૃક્ષો કપાતા હતા ત્યારે કોઈની નજર કેમ ન પડી ? વન વિભાગની જમીન હોવા છતાં સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે રહી ગઈ ? પ્રાથમિક તપાસમાં મંજૂરી ન હોવાનું સ્પષ્ટ થયું છે, ત્યારે હવે શું આ ‘પર્યાવરણના દુશ્મનો’ જેલના સળિયા પાછળ જશે ? તેવા અણિયાળા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.
કસુરવારો સામે કડક પગલાં ભરવાની માંગ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જ્યારે ગુનો આચરાઈ ગયો અને પર્યાવરણને નુકસાન થઈ ગયું, ત્યારે તંત્ર તપાસના નામે નાટક કરી રહ્યું છે. જે “ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા” જેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. હાલમાં ફોરેસ્ટ વિભાગે અજાણ્યા શખ્સો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પરંતુ સામાન્ય જનતાની માંગ છે કે આમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાયદાકીય પગલાં ભરી દાખલો બેસાડવામાં આવે.જેથી ભવિષ્યમાં આવા કુકૃત્યો અટકી શકે
સરકારી જમીન હડપવાનો કારસો ?
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં જમીનના ભાવો આસમાને છે. તેથી સરકારી અને ગૌચરની કિંમતી જમીન ઉપર દબાણદારો બથામણિયો કબ્જો કરી બેઠા છે. ત્યારે હાઇવે ઉપરની સરકારી જમીન ઉપર ઉભેલા ઋષિ સમાન વૃક્ષોની આડેધડ કતલ જમીન હડપવાનું કારસ્તાન પણ હોઈ શકે.તેમ લોકોએ જણાવ્યું હતું ત્યારે તંત્ર આ દિશામાં પણ તપાસ હાથ ધરી કસુરવારોને કાયદાનું ભાન કરાવે તેવો જનમત પ્રવર્તે છે.



