![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/01/orig_52-2_1610908653.jpg)
બહુચરાજીમાં મકાનનું તાળું તોડી 13 તોલા સોનુ, 2.77 લાખ રોકડ મળી 7.80 લાખની મત્તાની ચોરી
બહુચરાજીના કરિયાણાના હોલસેલ વેપારી ઉત્તરાયણના દિવસે ગોકુલધામ સોસાયટી વિભાગ-2માં આવેલું મકાન બંધ કરી પરિવાર સાથે બે દિવસ વિસનગર ભાઇના ઘરે ગયા તે દરમિયાન તસ્કરો મકાન અને તિજોરીનું તાળું તોડી 13 તોલા સોનું, 300 ગ્રામ ચાંદી અને રૂ.2.77 લાખ રોકડ મળી કુલ રૂ. 7,80,500ની મત્તા ચોરી ગયા હતા. જે અંગે બહુચરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.બહુચરાજી દયાનંદ કોમ્પલેક્ષમાં દુકાન ધરાવતા અને શંખલપુર રોડ પર ગોકુલધામ સોસાયટી વિભાગ-2માં રહેતા જીવરાજભાઇ તેજમલભાઇ રબારી ગુરુવારે સવારે 11 વાગે મકાન બંધ કરી પરિવાર સાથે વિસનગર ભાઇનાં ત્યાં ગયા હતા.
રાત્રે ચોરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અને દરવાજાની બાજુની બારીની નીચે અંદરની સ્ટોપર ઉખાડી અંદર ઘૂસ્યા હતા. ચોરોએ બેડરૂમમાં તિજોરીઓ તોડી 13 તોલા સોના અને 300 ગ્રામ ચાંદીના દાગીના રૂ.5,03,000 અને રોકડ રૂ. 2,77,500 મળી કુલ રૂ. 7,80,500ની મત્તા ચોરી ગયા હતા. જીવરાજભાઇ રબારી શનિવારે બપોરે 12 વાગે ઘરે આવ્યા ત્યારે દરવાજાનું તાળું તૂટેલું હતું તપાસમાં ચોરી થયાનું માલુમ થતાં તેમણે બહુચરાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી.
આ ચોરીમાં ડફેર ગેંગની સંડોવણીની દિશામાં તપાસ
ગુરુવારે રાત્રે દયાનંદ કોમ્પલેક્ષ તેમજ ગોકુલધામ સોસાયટીની સામે જ આવેલી મધુવન સોસાયટીમાં બે બંધ મકાનમાં હાથ માર્યો હતો. આ જ ગેંગે અહીં ચોરી કરી હોવાનું મનાય છે. સ્થાનિકોમાં ચર્ચા મુજબ આ કારસ્તાન ડફેર ગેંગનું લાગે છે. થોડા સમય અગાઉ જલિયાણ ધામ નજીક ઉતરેલા અજાણ્યા શખ્સો ત્યાંથી નીકળી ગયા બાદ કાલરી વિસ્તારમાં ભેદી લોકોની હિલચાલ બંધ થઇ છે.