ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ હજારો ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ હજારો ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બટાટાના ભાવ તળિયે, ડીસામાં ખેડૂતોનો આક્રોશ આસમાને

ળતર નહીં મળે તો આત્મવિલોપન કરવા સાથે ચૂંટણીમાં પાઠ ભણાવવાની ખેડૂતોની ચીમકી

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લો બટાટા ઉત્પાદન માટે રાજ્યમાં હબ તરીકે ઓળખાય છે. દર વર્ષે શિયાળુ સીઝનમાં અહીં મોટા પાયે બટાટાનું વાવેતર થાય છે, પરંતુ ચાલુ વર્ષે પણ બટાટાના ભાવ તળિયે જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતી પાછળ કરેલો ખર્ચ પણ ઊભો ન થતો હોવાથી ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

આ મામલે આજે જિલ્લા ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના કહેવા મુજબ મોંઘા બિયારણ, ખાતર, મજૂરી, વીજળી અને દવાઓના વધતા ખર્ચ સામે બજારમાં બટાટાના ભાવ તળિયે હોવાથી ખેડૂત ઉતરોતર દેવામાં ડૂબી રહ્યા છે.

કિસાન સંઘે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી છે. પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો બેંકો અને મંડળીઓના લોન-ધિરાણના હપ્તા ભરવાની સ્થિતિમાં પણ રહ્યા નથી. વધુમાં વેપારીઓ તળિયાના ભાવે પણ બટાટા ખરીદવામાં ઉદાસીનતા દાખવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ આવેદનપત્રમાં ચેતવણી આપી હતી કે જો સરકાર તાત્કાલિક ધોરણે બટાટા ઉગાડતા ખેડૂતો માટે ખાસ આર્થિક પેકેજ અથવા વળતર જાહેર નહીં કરે તો ખેડૂતો આત્મવિલોપન જેવા આકરા પગલાં ભરવા મજબૂર બનશે. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતો પોતાની તાકાત બતાવશે તેવી હૂંકાર પણ કરવામાં આવી હતી.

આ રજૂઆત દરમિયાન ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. હવે સરકાર ખેડૂતોની આ વેદનાને ધ્યાનમાં લઈ કોઈ રાહત પેકેજ જાહેર કરે છે કે નહીં તે જોવાનું રહેશે.

2019 બાદ સતત બટાટાના ભાવોમાં મંદી

બનાસકાંઠા જિલ્લામાં 2019 ને બાદ કરતા બટાટાના ભાવોમાં સતત મંદી છવાયેલી છે, જેના કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે. આ મુદ્દો વિધાનસભામાં પણ ચમકે છે, પરંતુ સરકાર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી તેવી ખેડૂતોમાં વ્યાપક ફરિયાદ છે.ભાવ ન મળતા ઘણા ખેડૂતો હવે બટાટાના બદલે રાયડો, રાજગરો અને ચણા જેવા પાકો તરફ વળ્યા છે. તેમ છતાં પંથકની આગવી ઓળખ સમાન બટાટાની ખેતી સાથે ઘણા ખેડૂતો આજે પણ જોડાયેલા છે. પરંતુ સતત છઠ્ઠા વર્ષે પણ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. તેથી સરકાર માનવીય અભિગમ દાખવી સહાય અથવા ખાસ પેકેજ જાહેર કરે તેવી માંગ ઉઠી રહી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *