રાજ્યમાં 161 સ્થાનો પર વેક્સિન આપવાનો પ્રારંભ થયો, આગામી સમયમાં રસીકરણ કેન્દ્રોમાં વધારો કરાશેઃ સીએમ રૂપાણી

ગુજરાત
ગુજરાત

વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત ભારતભરમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી રૂપાણીએ આજે સવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPS હોસ્પિટલ બરોડા ખાતે 18 હજાર વેક્સિન ડોઝનું સંતગણની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી ઇ-સ્વાગત કર્યું હતું. ભારત પોતાની તાકાત ઉપર હવે વિશ્વને વેક્સિન સપ્લાય કરશે. આજથી ગુજરાત સહિત ભારતમાં રસીકરણનો પ્રારંભ થયો છે ત્યારે ગુજરાતમાં પણ 161 સ્થાનો ઉપર વેક્સિન આપવાનો પ્રારંભ થયો છે, જેમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં વેક્સિન કેન્દ્રમાં વધારો પણ કરવામાં આવશે તેમ રૂપાણીએ ઉમેર્યું હતું.

રૂપાણીએ કહ્યું હતું કે, આજનો દિવસ આપણા સૌ માટે મહત્વનો દિવસ છે. કોરોના મહામારીની અગાઉ કોઈ દવા – વેક્સિન ન હતી. છેલ્લા 10 મહિનામાં સામૂહિક પ્રયત્નોથી આપણે સૌ કોરોના સામે જંગ લડ્યા છીએ અને કોરોના સંક્રમણને નિયંત્રિત કરી શક્યા છીએ. ગુજરાતમાં લોકો ઓછામાં ઓછા સંક્રમિત થાય અને સંક્રમિતને યોગ્ય સારવાર મળે તે માટે સરકાર જરૂરી પગલાં લીધા છે. જેના પરિણામે આજે ગુજરાતમાં કોરોના રિકવરી રેટ લગભગ 96 ટકા સુધી પહોંચ્યો છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આપણા વૈજ્ઞાનિકો-તબીબોએ ભારતમાં બે સ્વદેશી વેક્સિનની શોધ કરી છે. જે સંપૂર્ણ આત્મનિર્ભરની દિશામાં એક મહત્વનું ગૌરવ સમાન પગલું છે.

આ રોગના શરૂઆતથી જ આપણે જરૂરી પગલાં, વેન્ટિલેટર, માસ્ક, સેનિટાયઝર વગેરે પણ આપણે બનાવ્યા છે જ્યારે બે કોરોના વેક્સિન પણ આપણે જ બનાવી છે. BAPS હોસ્પિટલને આજે કોરોના વેક્સિનના વધામણા કર્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ વેક્સિન માનવજાતના કલ્યાણ માટે તૈયાર કરવામાં આવી છે, ત્યારે તેની સાથે સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા છે એટલે આપણે કોરોના સામેના જંગમાં અવશ્ય વિજેતા બનીશું. “કોરોના હારશે અને ગુજરાત જીતશે”ના મંત્રને આપણે સાકાર કરવા જઈ રહ્યા છીએ તેવી શ્રદ્ધા પણ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.