વાવ-થરાદના રાધાનેસડાથી મૂડેઠા (બનાસકાંઠા) સુધીની વિજલાઈન સહિતના મુદ્દે ખેડૂતોને અન્યાય
અધિક કલેક્ટર અને ખેડૂત આગેવાન પાલ આંબલીયા આમને સામને આવી જતા તંગદિલી સર્જાઈ
વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાના રાધાનેસડાથી મૂડેઠા સુધીના 25 ગામોમાંથી પસાર થતી પાવરગ્રીડ કંપનીની હેવી વીજલાઇન સહિતના ખેડૂતોના પ્રશ્નોનો વિવાદ હવે વધુ વકર્યો છે. મંગળવારે ખેડૂત આગેવાન પાલ આંબલીયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. આવેદનપત્ર આપતી વખતે અધિક કલેક્ટર તુષાર જાની અને ખેડૂત આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે વહીવટી તંત્ર ખેડૂતોના હિતને બદલે ખાનગી કંપનીના પક્ષમાં કામ કરી રહ્યું છે.
જ્યારે ખેડૂત આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અધિક કલેક્ટરે મીડિયાની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પાલ આંબલીયા સહિતના આગેવાનોને સ્પષ્ટ કહી દીધું હતું કે, “તમે મીડિયાને કેમ સાથે લાવ્યા છો ? આવી રીતે કોઈ ચર્ચા થશે નહીં, તમારે ન્યાય જોઈતો હોય તો કોર્ટમાં જઈને મેળવી લેવો.” કલેક્ટરના આ ઉડાઉ જવાબથી ખેડૂતોમાં રોષ ભભૂક્યો હતો. પાલ આંબલીયાએ સામો સવાલ કર્યો હતો કે જો વહીવટી તંત્ર સાચું હોય તો મીડિયા સામે ખુલ્લી ચર્ચા કરવામાં શા માટે ડર અનુભવે છે ? આ તો લગ્ન પહેલાં બાળકના જન્મનું સર્ટિફિકેટ આપવા જેવી વાત છે.
પાલ આંબલીયાએ વહીવટી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉઠાવતા વધુમાં જણાવ્યું હતું કે, પાવરગ્રીડ મામલે જાહેરનામું પૂર્ણ થાય તે પહેલાં જ ખેડૂતોને નોટિસો ફટકારી દેવામાં આવી છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે, તંત્રની આ કામગીરી તો લગ્ન થયા પહેલાં બાળકના જન્મનું સર્ટિફિકેટ આપવા જેવી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે પોલીસ કાફલા સાથે જે રીતે ખેડૂતો પર દબાણ લાવવામાં આવી રહ્યું છે, તેનાથી સાબિત થાય છે કે તંત્ર ખાનગી કંપનીના એજન્ટ તરીકે વર્તી રહ્યું છે. જો વહેલી તકે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



