સગીરાને અજાણ્યો શખ્સ લાલચ આપી ભગાડી ગયો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
પાટણના બાલીસણા પોલીસ સ્ટેશન હેઠળ આવતા ડેર ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારની 14 વષૅની સગીર દીકરીનું અપહરણ થયું હોવાની ઘટના મામલે સગીરાના પિતાએ બાલીસણા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની ફરિયાદ મુજબ મળેલ હકીકત એવી છે કે 14 વર્ષ અને 11 માસની સગીર વયની દીકરી ખેતરના શેઢે હતી, ત્યારે કોઈ અજાણ્યો શખ્સ તેને લગ્નની લાલચ આપી અથવા ફોસલાવીને વાલીપણામાંથી ભગાડી ગયો હતો. ઘટના સમયે પરિવાર ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો હતો.દીકરી ન મળી આવતા પરિવારે તેની શોધ ખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા આખરે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 મુજબ પ્રથમ માહિતી અહેવાલ (FIR) નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે પોલીસે બી.એન.એસની કલમ 137(2) મુજબ ગુનો દાખલ કરી અજાણ્યા આરોપીને ઝડપી પાડવા અને સગીરાની શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

