રહીશોની રજુઆત પગલે પાલિકા પ્રમુખે કહ્યું લાઇન રિપેરિંગ કરવામાં આવશે
પાટણ શહેરના કોલેજ રોડ પર આવેલી સિદ્ધરાજનગર સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી ભૂગર્ભ ગટર લાઇન બ્લોક થઈ ગઈ છે. સોસાયટીના બ્લોક નંબર 50 થી 56 વાળી ગલીમાં ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાઈ રહ્યા છે.આ ગંદા પાણી સ્થાનિક રહિશોના ઘરના બાથરૂમ અને ચોક સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટરના પાણી માંથી આવતી અસહ્ય દુર્ગંધને કારણે સ્થાનિકોનું જીવવું મુશ્કેલ બન્યું છે.રહિશો દ્વારા આ સમસ્યા અંગે પાટણ નગરપાલિકામાં અગાઉ 7 થી 8 વખત લેખિત અને મૌખિક રજૂઆતો કર
વામાં આવી હતી. તેમ છતાં, અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને શાળાએ જતા બાળકોને આ ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે.સિદ્ધરાજનગર ઉત્કર્ષ મંડળ અને સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 2 દિવસમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે, તો ગાંધીચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. આ અંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત જાણ કરવામાં આવતા પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે ટુક સમયમાં ચોક અપ બનેલ લાઇનનુ રિપેરિંગ કરવામાં આવશે.

