ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પોતાના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નની જાહેરાત કરી છે. અર્જુનની ભાવિ પત્નીનું નામ સાનિયા છે. મંગળવારે સચિન તેંડુલકર અને તેનો પરિવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. અહીં સચિને પીએમ મોદીને અર્જુન અને સાનિયાના લગ્નમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. સચિનના આખા પરિવારે પીએમ મોદી સાથે ફોટો પણ પડાવ્યો હતો. ચાલો જાણીએ કે સચિન તેંડુલકરે આ મુલાકાત વિશે શું કહ્યું હતું.
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના સત્તાવાર હેન્ડલ પરથી પીએમ મોદી સાથેના ફોટા શેર કર્યા. સચિને ટ્વીટ કર્યું, “અમને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્જુન અને સાનિયાના લગ્ન સમારોહમાં આમંત્રિત કરવાનો લહાવો મળ્યો. આ યુવાન દંપતીને તેમના આશીર્વાદ અને વિચારશીલ સલાહ બદલ મોદીજીનો આભાર.” સચિન તેંડુલકર અને તેમના પરિવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી.
સચિન તેંડુલકર અને તેમનો પરિવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા હતા. તેમણે લખ્યું, “ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ રાષ્ટ્રપતિ ભવનમાં અમારું ભવ્ય સ્વાગત કર્યું હતું. આજે જ્યારે અમે અર્જુન અને સાનિયાના લગ્નમાં આમંત્રણ આપવા માટે રાષ્ટ્રપતિને મળ્યા, ત્યારે અમે તે કેટલીક મીઠી યાદોને તાજી કરી. માનનીય રાષ્ટ્રપતિ, તમારી હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર.
ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરે મંગળવારે રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. સચિન અને તેમનો પરિવાર સોનિયા ગાંધીને તેમના નિવાસસ્થાન 10, જનપથ ખાતે મળ્યા હતા. આ દરમિયાન તેમની પત્ની અંજલિ તેંડુલકર પણ તેમની સાથે હતા. સચિન તેંડુલકરનો પરિવાર રાહુલ ગાંધીને પણ મળ્યો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે – “અમારા પરિવારને રાહુલ ગાંધીને મળવાની અને તેમને અર્જુન-સાનિયાના લગ્નમાં આમંત્રણ આપવાની તક મળી હતી.

