શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ધોળકાની સરસ્વતી વિદ્યાલયનો શ્રેષ્ઠ શાળા સમ્માન સમારોહ યોજાયો


(G.N.S) Dt. 24

ગાંધીનગર/અમદાવાદ,

રાજ્યના શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને ધોળકાની બી.પી. દાવડા સરસ્વતી વિદ્યાલય ખાતે શ્રેષ્ઠ શાળા સમ્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધતા શિક્ષણમંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે ભારત ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં યુવા પેઢીએ રમતગમત ક્ષેત્રે સક્રિય ભાગ લઈ દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રમતગમતમાં પણ ઉત્તમ પ્રદર્શન કરવા પ્રેરિત કર્યા હતા.

તેમણે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, “શિક્ષણ એ શક્તિશાળી હથિયાર છે, જેનાથી વિશ્વમાં પરિવર્તન લાવી શકાય છે.” શિક્ષણ વ્યક્તિના સર્વાંગી વિકાસનું સાધન હોવાનું જણાવતા તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, મહેનત અને લક્ષ્યપ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ડિજિટલ યુગમાં શિક્ષણ વ્યવસ્થામાં ટેક્નોલોજીનું વધતું મહત્વ સ્વીકારતાં, વિદ્યાર્થીઓ મોબાઇલનો ઉપયોગ અભ્યાસ માટે સકારાત્મક રીતે કરે અને અનાવશ્યક ઉપયોગથી દૂર રહે – તે અંગે માર્ગદર્શન આપવાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે શિક્ષણક્ષેત્ર સાથે જોડાયેલા વર્તુળોમાં ટેક્નોલોજી અને મોબાઇલ વપરાશ અંગે સંતુલિત અભિગમની પણ ચર્ચા થઈ હતી.
કાર્યક્રમના અંતે શિક્ષણમંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહ બાદ શિક્ષણમંત્રી ડૉ. વાજાએ ધોળકા તાલુકાના રનોડા ગામે આવેલ વીર મેઘમાયા મંદિર ખાતે જઈ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી.

આ કાર્યક્રમમાં ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી, શાળાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, શિક્ષકો, સંચાલકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં ખાસ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *