ભર શિયાળે સુઇગામ તાલુકાની ધનાણા બેણપ માઇનોર કેનાલ તૂટી જતાં સુઇગામ તાલુકાના ચાળા ગામના ખેડૂતના ખેતરમાં તૈયાર થયેલો ઉભો ચણાના પાકનો સફાયો બોલી ગયો છે. આ મુદ્દે પીડિત ખેડૂતે મીડિયા સમક્ષ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, ચોમાસામાં કુદરત રૂઠી હતી. પુર આવતા ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.ત્યાર બાદ વ્યાજે નાણાં લાવી શિયાળુ પાકમાં ચણાના પાકનું વાવેતર કર્યું હતું. તૈયાર થયેલો લાખો રૂપિયાના પાક કાપી લેવાનો હતો તે પહેલાં જ તૈયાર થયેલા ચણાના પાકમાં કેનાલ તૂટી જવાથી ખેતરમાં પાણી ભરાઈ જવાથી મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતાં ખેડૂતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આ પીડિત ખેડૂતની નોંધ લઈ નર્મદા વિભાગ સર્વે કરી યુદ્ધના ધોરણે સહાય અપાવે તેવી પીડિત ખેડૂતની પ્રબળ માંગ છે.

