મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માફી માંગે તેવી માંગ
પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર પર્વ પર જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ અને તેમના અનુયાયીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારના વિરોધમાં ડીસા ખાતે એક મહત્ત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી. શાસ્ત્રી કિશોરભાઈ દવે અને ગાર્ગી પંડિતની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં ઉત્તર પ્રદેશ સરકાર અને પ્રશાસન સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. મૌની અમાસ પર સ્નાન માટે જઈ રહેલા શંકરાચાર્યજીને રોકી, તેમના શિષ્યો અને દંડી સ્વામીઓ સહિત ૪૦ થી વધુ લોકોની કોઈપણ કારણ વગર ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી. તેમજ શંકરાચાર્યજીના શિષ્યોને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, મહિલા સાધ્વીઓ પર પણ અત્યાચાર ગુજારી માનવાધિકારોનું ઉલ્લંઘન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે.
સનાતન ધર્મમાં અનાદિ કાળથી શંકરાચાર્યની પેશવાઈ અને છત્ર સાથે સ્નાન કરવાની પરંપરા છે. પ્રશાસન દ્વારા શંકરાચાર્યનું ‘છત્ર’ છીનવી લેવામાં આવ્યું અને તેમની સાથે એક ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું, જે અક્ષમ્ય અપરાધ છે પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ કૃત્ય સનાતની પરંપરાની વિરુદ્ધ છે અને તેનાથી સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે શંકરાચાર્યજીની સમક્ષ જઈ પ્રશાસનના આ કૃત્ય બદલ ક્ષમા યાચના કરવી જોઈએ. શંકરાચાર્યના પદ અને પ્રતિષ્ઠાને અનુરૂપ તેમને સન્માનપૂર્વક ગંગાસ્નાન કરાવી સરકારે આ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ.”શંકરાચાર્યનું સિંહાસન, છત્ર અને પાદુકા એ રાજા સુધન્વાના સમયની પરંપરા છે. આ છત્ર તોડીને પ્રશાસને સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુનું અપમાન કર્યું છે.” શાસ્ત્રી કિશોરભાઈ, ગાર્ગી પંડિત સહિત આ પત્રકાર પરિષદમાં દંડી સ્વામી જ્યોતિર્મયાનંદ, મુકુંદાનંદજી, અનુરાગ શર્મા, દેવેન્દ્ર પાંડે સહિતના અનેક આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

