નિરાધાર અને એકલા વડીલોને સહારો મળશે
ડીસાના રાણપુર રોડ પર આવેલ લેખરાજ શેઠની વાડી ખાતે સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત “દિકરાનું ઘર” નો આજે શુભ મુહૂર્તે આનંદભર્યા માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો. આ સેવાકાર્યનો મુખ્ય ઉદ્દેશ સમાજના એવા નિરાધાર, એકલા તથા આશ્રયવિહોણા વડીલોને ઘર જેવી લાગણી, પ્રેમ, સન્માન અને સુરક્ષા પૂરી પાડવાનો છે.
આ પ્રસંગે સેવન સ્ટાર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, દાતાઓ તથા શુભેચ્છકોની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો.દિકરાનું ઘરમાં વડીલો માટે રહેવા માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા, સ્વચ્છ અને પૌષ્ટિક ભોજન, નિયમિત આરોગ્ય સંભાળ, દવાઓ તેમજ માનસિક અને ભાવનાત્મક સહારો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કેન્દ્ર વડીલોના જીવનમાં ખુશી, શાંતિ અને આત્મવિશ્વાસ લાવવા માટે વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક તથા મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરશે. વડીલો પોતાને એકલા ન અનુભવે અને પરિવાર જેવો સ્નેહ મળે એ ભાવના સાથે “દિકરાનું ઘર” ની સ્થાપના કરવામાં આવી છે.
સેવન સ્ટાર ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ આ સેવાયજ્ઞ સમાજ માટે એક અનુપ્રેરક પહેલ બની રહેશે. અને અનેક વડીલોના જીવનમાં આશાનો દીવો પ્રગટાવશે. આ સેવાના મહાયજ્ઞમાં લેખરાજ શેઠ વાડી ખાતે સેવન સ્ટાર ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત દિકરાનું ઘરના શુભારંભ પ્રસંગે સેવન સ્ટાર ફાઉન્ડેશનના સેવાભાવી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયાં હતાં.


