મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરાયા


(જી.એન.એસ) તા. ૧૮

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરતીરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અપાતા આ સન્માનનો સમારંભ અમદાવાદમાં સરદાર રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં બધાની દોટ પૈસા અને સ્વાર્થ માટે છે ત્યારે સામેના દરેક વ્યક્તિમાં, દરેક જીવમાં શિવ જોઈને સેવા કરનારાઓનું સન્માન કરાયું છે ત્યારે આજનો કાર્યક્રમ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. સનાતન સંસ્કૃતિમાં સેવા પરમો ધર્મ કહેવાય છે, આ મંત્રને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના અંતિમ પંક્તિમાં રહેલા લોકના કલ્યાણભાવ સાથે જનજનમાં વિસ્તાર્યો છે. આજે સન્માનિત સૌ પણ આ ભાવને સમર્પિત છે, એટલે અભિનંદનને પાત્ર છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વથી ઉપર ઊઠીને સર્વનો વિચાર કરનારા જ માનવજાતની સાચી સેવા કરે છે. સાચી સંપત્તિ પદ, પૈસો કે પ્રતિષ્ઠામાં નહીં, પરંતુ સામાજિક યોગદાનમાં રહે છે. નિઃસ્વાર્થ સેવા જ માનવ સભ્યતાની બુનિયાદ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ, આરોગ્ય અને જનજાગૃતિ માટે કાર્યરત આશીર્વાદ ફાઉન્ડેશનની વિધ વિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આ સંસ્થાએ મહિલા આરોગ્ય અભિયાન સાથે જોડીને બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ તથા નિદાન-તપાસ ક્ષેત્રે ઉમદા કામગીરી કરી છે. આ કદાચ એવી પહેલી સંસ્થા છે, જેણે ફિટનેસને દાન તરીકે સ્વીકારી છે. આ નવતર અભિગમ પ્રેરણારૂપ છે.

મુખ્યમંત્રી શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર કલ્યાણ યોજનાઓ બનાવે અને નીતિઓને અમલમાં મૂકે. આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ અને છેવાડેના લોકો સુધી પહોંચે એ માટે સેવા સંસ્થાઓ પણ સરકાર સાથે ખભે ખભો મિલાવીને કામ કરે તો વધારે સફળતા મળી શકે છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે હંમેશાં સેવા, સંવેદના સાથે આપદ ધર્મ નિભાવવાની સહકાર પરંપરા જાળવી છે. ધરતીકંપ, કોરોના, પૂર, વાવાઝોડા… કોઈ પણ સંકટમાં ગુજરાત અને ગુજરાતીઓ હંમેશાં આપત્તિગ્રસ્તોની સેવા માટે ખડેપગે રહે છે.

વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને યાદ કરીને મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું કે  સરકારની સાથે સાથે સંસ્થાઓ, સેવાવ્રતીઓ અને સમાજ સૌ સાથે મળીને સમરસ, સંવેદનશીલ અને સમૃદ્ધ ગુજરાત થકી સમૃદ્ધ-વિકસિત ભારત બનાવીએ.

આશીર્વાદ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર. એસ. પટેલે સ્વાગત પ્રવચન કરીને સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. ઓડિશાના પૂર્વ ચીફ જસ્ટિસ અને એવોર્ડ પસંદગી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ કલ્પેશભાઈ ઝવેરી તથા ગુજરાતી સાહિત્ય અકાદમીના વડા તથા પસંદગી સમિતિના સભ્ય શ્રી ભાગ્યેશભાઈ ઝાએ પ્રાસંગિત ઉદબોધન કરીને સન્માનિતોને શુભેચ્છા પાઠવી હતી.

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા અપાતા ધરતીરત્ન એવોર્ડની દસમી આવૃત્તિમાં ત્રણ સંસ્થાઓ અને નવ સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાકીય એવોર્ડ ઠાકરશી ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, સેવા રૂરલ, ઝઘડિયા તથા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલાને અપાયા હતા, જ્યારે સુશ્રી બિંદિયા હેમંતકુમાર ભટ્ટ, સુશ્રી અમિતા અંબાલાલ પટેલ, શ્રી સુરેશભાઈ લવજીભાઈ ઠક્કર, શ્રી ઈશ્વરભાઈ ચંદુભાઈ પટેલ, ડૉ. ભૂપેશ ધીરજલાલ શાહ, ડૉ. અશ્વિન એ. શાહ, શ્રી દિનેશ કાન્તિલાલ વ્યાસ, શ્રી જયેશભાઈ બચુભાઈ રાવલ અને ડૉ. વ્યોમા શાહને વ્યક્તિગત સન્માન અપાયું હતું.

આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ શાહ, શ્રી કે.એમ. પટેલ, શ્રી કનુભાઈ દેત્રોજા સહિતના આશીર્વાદ ફાઉન્ડેશનના અગ્રણીઓ, સન્માનિત સંસ્થાઓના અગ્રણીઓ, સન્માનિત લોકોના પરિવારજનો તથા સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



Source link

administrator

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *