સોમનાથ સ્વાભિમાન પર્વ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા રાષ્ટ્રહિત માટે પ્રાર્થના કરાઈ

સોમનાથ સ્વાભિમાન પર્વ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા રાષ્ટ્રહિત માટે પ્રાર્થના કરાઈ

ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય સ્વાભિમાન અને સનાતન પરંપરાના સંરક્ષણ માટે સતત કાર્યરત ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે પાલનપુર તાલુકામાં એક ભવ્ય અને અર્થપૂર્ણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી, પાલનપુર તાલુકા દ્વારા પાલનપુર તાલુકાના પ્રસિદ્ધ બાલારામ મહાદેવ મંદિર , હાથિદ્રા, માલણ ગામના શિવ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ધાર્મિક આસ્થા સાથે રાષ્ટ્રીય ચેતનાનો સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો. સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભારતની આત્મા, અડગ સંકલ્પ અને પુનર્જાગૃતિનું પ્રતીક છે. આ ઐતિહાસિક મહત્વને ઉજાગર કરતા પાલનપુર તાલુકા ભાજપ  દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરીને દેશની સંસ્કૃતિ અને પરંપરાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પાવન અવસરે ભારતીય જનતા પાર્ટીના તાલુકા, મંડળ અને મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિવ મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિશેષ પૂજા-અર્ચના કરીને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. પૂજા દરમિયાન કાર્યકરોમાં અનુશાસન, એકતા અને સંગઠનશક્તિ સ્પષ્ટપણે જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન આયોજિત સામૂહિક મંત્રજાપ એ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. “ઓમ નમઃ શિવાય” ના ગુંજન સાથે ભાજપ કાર્યકરો અને શ્રદ્ધાળુઓએ રાષ્ટ્રની એકતા, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ મંત્રજાપ માત્ર ધાર્મિક ક્રિયા ન રહી, પરંતુ રાષ્ટ્રહિત માટેના સામૂહિક સંકલ્પનું પ્રતીક બની હતી.

સંધ્યા સમયે યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે મંદિર પરિસર ભક્તિમય બની ગયો હતો. મહાઆરતીમાં જોડાઈને હાજર સૌએ ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સ્વાભિમાનની રક્ષા માટે સતત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી, પાલનપુર તાલુકા પ્રમુખ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,“સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના આત્મ સન્માન અને સનાતન સંસ્કૃતિની પુનઃસ્થાપનાનું પ્રતીક છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે પોતાની સંસ્કૃતિ અને વારસાને ગૌરવ સાથે આગળ વધારી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે ધર્મ, રાષ્ટ્ર અને સંસ્કૃતિ અવિભાજ્ય છે. આજના પાવન દિવસે ભગવાન શિવના આશીર્વાદ સાથે અમે મજબૂત, આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે પ્રાર્થના કરી છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સમાજના દરેક વર્ગને સાથે લઈને સાંસ્કૃતિક ચેતનાને મજબૂત બનાવવાના કાર્યમાં સતત આગળ વધી રહી છે.

આ સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની મજબૂત સંગઠનશક્તિ અને વિચારધારાનું પ્રતિબિંબ બન્યો હતો. કાર્યકરો દ્વારા શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પાર્ટીની કાર્યશૈલી અને સમર્પણને દર્શાવે છે. સ્થાનિક આગેવાનો દ્વારા પણ આવા કાર્યક્રમોને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવ્યા હતા.સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી દ્વારા ભાજપ પાલનપુર તાલુકાએ સંદેશ આપ્યો હતો કે, વિકાસ અને સંસ્કૃતિ સાથે સાથે ચાલી શકે છે. ધર્મ અને આધ્યાત્મિકતા ભારતીય સમાજની આત્મા છે અને એ જ આધારે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો માર્ગ રચાય છે. આ કાર્યક્રમ થકી પાલનપુર તાલુકામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ભાવનાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી. અંતમાં ભગવાન શિવના આશીર્વાદ સાથે દેશ, રાજ્ય અને પાલનપુર તાલુકાની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *