મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં બુધવારે એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. 2012ના પુણે બોમ્બ વિસ્ફોટના આરોપીઓમાંના એક બંટી જહાગીરદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના જિલ્લાના શ્રીરામપુર શહેરમાં બની હતી. ગોળી વાગ્યા બાદ, જહાગીરદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના અજાણ્યા હુમલાખોરો દ્વારા કથિત રીતે અંજામ આપવામાં આવ્યો હતો.
બંટી જહાગીરદાર 2012 માં મહારાષ્ટ્રના પુણેમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપીઓમાંનો એક હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 50 વર્ષીય બંટી જહાગીરદાર બુધવારે બપોરે 2 વાગ્યે બોરાવાકે કોલેજ રોડ પરના કબ્રસ્તાનમાંથી બાઇક પર બીજા એક વ્યક્તિ સાથે પરત ફરી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે માણસોએ તેમના પર હુમલો કર્યો. જહાગીરદારને ગોળી વાગી હતી અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.
પુણે બોમ્બ વિસ્ફોટના આરોપી બંટી જાગીરદારની હત્યા અંગે પોલીસનું નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, “હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી. આ કેસની તપાસ માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે, અને તપાસ ચાલુ છે.
તમને જણાવી દઈએ કે 2012 માં, મહારાષ્ટ્રના મધ્ય પુણેમાં એક વ્યસ્ત માર્ગ (જંગલી મહારાજ રોડ) પર શ્રેણીબદ્ધ ઘટનાઓમાં ચાર ઓછી તીવ્રતાના બોમ્બ વિસ્ફોટ થયા હતા. મહારાષ્ટ્ર ATS એ બંટી જહાગીરદારની સંડોવણી બદલ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે જહાગીરદાર સામે અહિલ્યાનગર જિલ્લામાં હત્યા અને ગુનાહિત ધાકધમકી સહિત અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે 2023 થી જામીન પર બહાર હતો.

