જાતિના દાખલા માટે થતી કનડગત સામે ન્યાય માટે આદિવાસીઓ આક્રમક….
માંગણી નહિ સંતોષાય તો ઉત્તર ગુજરાતનો આદિવાસી સમુદાય ગાંધીનગરમાં ધરણાં કરશે
ગાંધીનગરની કૂચને સરકાર માટે શરમજનક ગણાવતા ધારાસભ્ય કાંતિ ખરાડી
આદિવાસી સમુદાયને જાતિના દાખલા કઢાવવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લાલઘૂમ બનેલા આદિવાસી સમાજે આક્રમક રૂખ અપનાવતા આજે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના નેતૃત્વમાં પાલનપુરથી ગાંધીનગર તરફની કૂચ યોજી હતી.
એકબાજુ સરકાર આદિવાસીઓના વિકાસના નામે વાહવાહી લૂંટી રહી છે. ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો આદિવાસી સમાજ જાતિના દાખલા કઢાવવા ઝઝૂમી રહ્યો છે. સ્થાનિક કક્ષાએ છેલ્લા એક વર્ષથી વારંવારની રજૂઆતો, આવેદનપત્રો બાદ પણ નિવેડો આવ્યો નથી. ત્યારે દાખલા કઢાવવા જેવી નજીવી બાબતે આદિવાસી સમાજને પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા યોજવા મજબૂર બનવું પડ્યું છે. જેને દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ સરકાર માટે શરમજનક ગણાવી હતી. જાતિના દાખલાને લઈને વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી મેળનારા આદિવાસી યુવાનોનું ભાવિ ધૂંધળું બન્યું છે. ત્યારે રોષે ભરાયેલો આદિવાસી સમાજ ના-છૂટકે આક્રમક બનવાની ફરજ પડી હોવાનું યુવા અગ્રણી ઈશ્વર ડામોરે જણાવ્યું હતું.
છાત્રો અને નોકરી વાંચ્છુ યુવાનોનું ભાવિ ધૂંધળુ બન્યું
એકબાજુ સરકાર વનવાસી કલ્યાણના નામે ગુલબાંગો પોકારી રહી છે. ત્યારે બીજી બાજુ બનાસકાંઠા જિલ્લાનો આદિવાસી સમાજ જાતિના દાખલા કઢાવવા માટે વલખાં મારી રહ્યો છે. સરકાર દ્વારા જાતિના દાખલા માટે 1950 પહેલાના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. ભોળો અને અશિક્ષિત આદિવાસી સમુદાય 1950 પૂર્વેના પુરાવા રજૂ ન કરી શકતા તેઓને જાતિના દાખલા મળતા નથી. જેથી વિધાર્થીઓ અને સરકારી નોકરી મેળવનાર આદિવાસી યુવાનોનું ભાવિ ધૂંધળું બન્યું છે. ત્યારે સ્થાનિક કક્ષાએ આદિવાસીઓની સમસ્યાનો નિવેડો ન આવતા આજે અમીરગઢ-દાંતા અને પાલનપુર તાલુકાનો આદિવાસી સમાજ એકત્ર થયો હતો. જેઓએ પોતાના હક માટે પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો.
ઉત્તર ગુજરાતના આદિવાસીઓ આંદોલન છેડશે
જાતિના દાખલાઓની કન્ડગતને લઈને વિશ્લેષણ સમિતિ દ્વારા આદિવાસી યુવાનોને શાબ્દિક ભૂલો કાઢી હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે આદિવાસી અગ્રણીઓ કલેકટર, મુખ્યમંત્રીથી લઈને રાજ્યપાલ સુધી રજુઆત કરી ચુક્યા છે. છતાં માંગણી નહિ સંતોષાતા પાલનપુર-દાંતા અને અમીરગઢના આદિવાસી યુવાનોને ગાંધીનગરની કૂચ યોજવા મજબૂર બનવું પડ્યું છે. જોકે, ગાંધીનગર સુધીની કૂચ બાદ પણ માંગણી નહિ સંતોષાય તો સમગ્ર ઉત્તર ગુજરાતનો આદિવાસી સમાજ ગાંધીનગર ખાતે ધરણાં યોજી આંદોલન છેડશે તેવી ચીમકી ઈશ્વર ડામોરે ઉચ્ચારી હતી.


