હાઈકોર્ટ દ્વારા દાંતા રાજવી પરિવારની અંબાજી મંદિરમાં આસો સુદ આઠમની પૂજા પર રોક લગાવવામાં આવતા રાજવી પરિવાર અને સનાતની સમાજમાં ભારે આક્રોશ સાથે રોષ જોવા મળ્યો છે. આ નિર્ણયના વિરોધમાં આજે દાંતાના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા. અને એક વિશાળ રેલી યોજાઈ હતી. રાજવી પરિવાર છેલ્લા 850 વર્ષથી આસો સુદ નવરાત્રીની આઠમે અંબાજી મંદિરમાં હવન અને પૂજા કરતો આવ્યો છે. હાઈકોર્ટે આ પૂજામાં રાજવી પરિવારનો હક છીનવી લેવાનો આદેશ કર્યો હતો, જેના કારણે આક્રોશ ફેલાયો છે.
દાંતા તાલુકાના સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા આ નિર્ણય સામે આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું. દાંતાના આઝાદ ચોક ખાતે આસપાસના ગામોના લોકો, કરણી સેના સહિત વિવિધ ધર્મપ્રેમી સંગઠનો અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. મુસ્લિમ સમાજના લોકો પણ આ સમર્થનમાં હાજર રહ્યા હતા. આઝાદ ચોકથી એક વિશાળ રેલી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
આ રેલી દાંતા મામલતદાર કચેરી પહોંચી હતી, જ્યાં રાજવી પરિવાર અને સર્વ સમાજના લોકો દ્વારા હાઈકોર્ટના ચુકાદા સામે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. જેમાં દાંતા રાજવી પરિવાર 1100 વર્ષથી અંબાજી મંદિરની પૂજા કરતો આવ્યો છે. આસો નવરાત્રીની આઠમે તેઓ હવન અને પૂજા કરવા અંબાજી આવતા હતા, જે પરંપરા પર હવે રોક લાગી છે.જે વર્ષોની ધાર્મિક પરંપરા તોડવી યોગ્ય નથી.આ વિવાદ આગામી દિવસોમાં વકરવાની શકયતા નકારી શકાતી નથી.



