ડીસા પંથકમાં ઠંડી ઘટતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ : બટાકા અને રાયડાના પાકને નુકસાનની ભીતિ

ડીસા પંથકમાં ઠંડી ઘટતાં ખેડૂતો ચિંતામાં ગરકાવ : બટાકા અને રાયડાના પાકને નુકસાનની ભીતિ

બનાસકાંઠા જિલ્લાના ડીસા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનમાં થયેલા અણધાર્યા વધારાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ડીસા પંથક બટાકાના પુષ્કળ ઉત્પાદન માટે જાણીતું છે, ત્યારે ઠંડી ઘટવાથી મુખ્ય પાકો જેવા કે બટાકા, રાયડો અને જીરું ને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

​ગત અઠવાડિયે જ્યાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું હતું, ત્યાં આજે 14 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે. માત્ર એક જ અઠવાડિયામાં તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો છે. કૃષિ વૈજ્ઞાનિકોના મતે, બટાકા રાયડા, સહિતના પાકોને  ઠંડી અને નીચા તાપમાનની જરૂર હોય છે. તાપમાન વધવાથી પાકો પર  તેની વિપરીત અસરો થવાની શક્યતા છે. જેમાં બટાકાના પાકને ગરમી વધવાથી બટાકાના કંદના વિકાસમાં અવરોધ આવે છે. વળી, સુકારો જેવા ફૂગજન્ય રોગોનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, જે પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે.​આ ઉપરાંત રોકડીયા પાક એવા રાયડામાં ફૂલ બેસવાની અને શીંગો બેસવાની પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડી શકે છે, જેનાથી ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે તેમજ અમુક વિસ્તારમાં ​જીરુંનું વાવેતર પણ કરવામા આવ્યું છે જેમાં પણ ઠંડીની જરુર હોય છે.

​તાપમાનમાં થયેલા આ વધારાને કારણે ખેડૂતો પરેશાન છે. એક સ્થાનિક ખેડૂતે જણાવ્યું કે, અમે સારો પાક ઉતારવાની આશા રાખી હતી, પરંતુ જો આ રીતે ઠંડી ઘટતી જશે તો પાક નિષ્ફળ જશે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. જોકે ઠન્ડી ઘટવા સાથે તેમજ પાકને બચાવવા માટેની માર્ગદર્શિકા અને સૂચનો જાહેર કરવામાં આવે તે પણ  જરૂરી છે આ ઉપરાંત ​જો પાકને નુકસાન થાય તો સરકાર દ્વારા યોગ્ય વળતરની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે જોકે ​આ વગર મોસમની ગરમી પાછળનું કારણ શું છે અને તેનાથી પાકને કેવી રીતે બચાવી શકાય ? તે અંગે કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને સઘન માર્ગદર્શન પૂરું પાડવું આવશ્યક છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *