બનાસકાંઠામાં યુરીયા ખાતરનો પૂરતો જથ્થો : તંત્ર

બનાસકાંઠામાં યુરીયા ખાતરનો પૂરતો જથ્થો : તંત્ર

ડીસા રેક પોઇન્ટ ઉપર ખાતરનો જથ્થો ઉતરતા પ્રત્યેક તાલુકામાં સપ્રમાણ વિતરણ શરૂ

યુરિયા સિવાય એમોનિયમ સલ્ફેટ, NPK, PROM, NANO Urea જેવા ખાતરોનો ઉપયોગ કરવા જિલ્લા ખેતીવાડી વિભાગનો અનુરોધ

બનાસકાંઠા જિલ્લામાં યુરીયા ખાતરની અછતની બુમરાડો વચ્ચે ચાલુ રવિ સિઝન માટે જિલ્લામાં ખેડૂત ભાઈઓ માટે ખાતરનો પૂરતો અને સુલભ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. હાલ જિલ્લામાં ડીસા રેક પોઈન્ટ પર ઇફકો કંપનીનું 3158 મેટ્રિક ટન, આઈપીએલ કંપનીનું 2000 મેટ્રિક ટન આવી ગયું છે તથા જીએસએફસી કંપનીનું 1200 મેટ્રિક ટન ખાતર ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. જેનું પ્રત્યેક તાલુકામાં ઝડપથી સપ્રમાણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી જિલ્લાના ખેડૂત ભાઈઓને ખાસ અપીલ કરવામાં આવે છે કે, યુરિયા ખાતરનો ખોટો સંગ્રહ કે વધુ પ્રમાણમાં ખરીદી ના કરવામાં આવે કારણ કે વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ જમીનના સ્વાસ્થ્ય તથા માનવ સ્વાથ્ય માટે પણ નુકસાનકારક સાબિત થાય છે.

યુરિયા સિવાય નાઈટ્રોજન માટેના વિકલ્પ રૂપે એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, નાઇટ્રો ફોસ્ફેટ, PROM, NPK, NPK Consortia, વોટર સોલ્યુબલ ખાતર તેમજ NANO Urea જેવા ખાતરો પણ બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ જરૂરીયાત મુજબ જ અધિકૃત વિક્રેતા પાસેથી ખાતર ખરીદીને સંતુલિત ખાતર વ્યવસ્થાને અપનાવવા ખેતીવાડી અધિકારી મયુર પટેલના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી અધિકારી રામજી દેસાઈ દ્વારા અપીલ કરાઈ છે.

પારદર્શક વિતરણની ખેડૂતોમાં માંગ ઉઠી

રવિ સીઝનના પાકો માટે યુરીયા ખાતર અનિવાર્ય છે પરંતુ વિક્રેતાઓ કાળા બજાર કરતા હોવાના ખેડૂતોએ આક્ષેપો કરી જણાવ્યું હતું કે કેટલાક વિક્રેતાઓ મળતીયાઓ અને વચેટીયાઓને બારોબાર ખાતરનો જથ્થો પધરાવી દે છે. તેથી ખેડૂતોને લાઈનોમાં ઉભા રહેવા છતાં ખાતર મળતું નથી.તેવો રોષ ઠાલવી પારદર્શક રીતે ખાતરનું વિતરણ કરવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *