ઊંઝા આમ તો મહેસાણા જિલ્લાના વિકસિત શહેરોમાં આવતું મોટું શહેર છે. ઊંઝામાં વિશ્વ પ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરની સાથે સાથે મસાલા બજાર પણ જગ વિખ્યાત હોવાથી ઊંઝા શહેરને કોઈ ના ઓળખતું હોય એવું બને જ નહીં પરંતુ ઊંઝામાં સરકારી તંત્રની લાલીયાવાડી અને નિષ્ક્રિયતાના લીધે શહેરના અનેક વિષ્યરો એવા છે કે જે વાસ્તવમાં વિકાસથી વંચિત રહી ગયા છે છતાં પણ ઊંઝાના સ્થાનિક સરકારી તંત્રની ઘોર બેદરકારીના અવારનવાર પરાક્રમો જોવા મળી રહ્યા છે.
ઊંઝામાં નવા રેલવે સ્ટેશન પાસેના આવેલા હાઇવેના વર્ષો જુના 11 ગરનાળા તરીકે ઓળખાતો આ રસ્તો નાના વાહન ચાલકો માટે હવે તો માથાના દુખાવા સમાન બની ગયો છે. મહત્વની વાત એ છે કે આ ગરનાળું સાઇકલ, બાઈક કે થ્રી વિલર માટે આશીર્વાદ સમાન સાબિત થાય તેમ છે પરંતુ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા, અણઆવડત અને બેદરકારીનો ભોગ શહેરની સામાન્ય જનતાને બમવાનો વારો આવ્યો છે. સરકારી તંત્રની ઉદાસીનતા અને બેજવાબદારી ભર્યા વલણના લીધે 11 ગરનાળાનો પ્રશ્ન હજારો રાહદારીઓને નાકે દમ લાવી દીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઊંઝાના સ્થાનિક ધારાસભ્ય કે નગરપાલિકાના પ્રમુખને પણ 11 ગરનાળાનો પ્રશ્ન હલ કરવામાં કોઈ રસ ન હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. 11 ગરનાળાથી પસાર થનારા રાહદારીઓ અને નાના વાહનચાલકો પણ હવે તો સ્થાનિક તંત્રની નિરસતાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે સ્થાનિક રહેવાસીઓની અવારનવારની લેખિત અને મૌખિક રજુઆત બાદ જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલે પણ તંત્રને તાકીદ કરી જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે નાળાની કામગીરી પૂર્ણ કરી રાહદારીઓના પ્રશ્ન નું નિરાકરણ લાવવું તેમ છતાં પણ ઊંઝાના સ્થાનિક રાજકારણીઓ મંત્રીઓની સુચનાને પણ જાણે કે ઘોળીને પી ગયા હોય તેમ 11 ગરનાળાને જેવું હતું એજ સ્થિતિમાં મૂકી રાખ્યું છે . ત્યારે સ્થાનિક રહેવાસીઓએ હવે તંત્ર સામે બાય ચડાવી હોય તેમ તંત્રને તાકીદ કરતા જણાવ્યું છે કે ગમે તે એક ઊંચી બાજુએ નીચે મજબૂત પથ્થરો દ્વારા વરસાદ કે ગટરનું ગંદુ પાણી ના આવે અને પસાર થનારા રાહદારીઓ કે વાહનચાલકોને તકલીફ ન પડે તે રીતે લેવલિંગ કરી મજબૂત રસ્તો બનાવવા લોકમાંગ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1 ગરનાળાનો આ રસ્તો માત્ર 20 મીટર જેટલો જ પહોળો છે કે જેમાં સાવ સામાન્ય વરસાદ આવે તો પણ પાણીના લીધે કીચડથી ખદબદી ઉઠતો હોય છે. જેના લીધે જ્યાં સુધી આ રસ્તો આવવા-જવા લાયક બને છે ત્યાં સુધી ચાર કિલોમીટરનું ચક્કર કાપી ઓવરબ્રિજ ફરીને જવાનો વારો આવતો હોય છે. જેના કારણે ટિફિન લઈને જનારા સાવ સામાન્ય પરિવારના સાઇકલ સવાર ફેક્ટરી કે ખેત મજૂરી કરતા લોકોનીની ચોમાસામાં કેવી દયનિય હાલત થતી હશે તે તો તેજ જાણતા હશે. આ બાબતે સ્થાનિક રશેવાસીઓની માંગ ઉઠવા પામી છે કે નગરપાલિકાના હોદ્દેદારો, પાલિકા પ્રમુખ સહિત રેલવે વિભાગ અને ધારાસભ્યની સાથે મળીને 11 ગરનાળાના વિકટ પ્રશ્નનું કાયમી ધોરણે નિકાલ લાવી શહેરીજનોની સુખાકારી માટે કઈક નક્કર કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠી છે.

