આ એવોર્ડ બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત :- ચેરમેન શંકરભાઈ ચૌધરી
બનાસ ડેરીએ જળસંચય અંતર્ગત 325થી વધુ તળાવો તથા 30 હજારથી વધુ શોષ કૂવાનું નિર્માણ કર્યું છે
ગુજરાતની ગૌરવવંતી સંસ્થા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનના ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત છઠ્ઠા ‘નેશનલ વોટર એવોર્ડ્ઝ’માં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આજે વિજ્ઞાન ભવન દિલ્હી ખાતે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે નેશનલ વોટર એવોર્ડ એનાયત કરાયો. બનાસ ડેરીને આ પુરસ્કાર ‘શ્રેષ્ઠ ઔદ્યોગિક એકમ’ની શ્રેણીમાં તેની જળ સંરક્ષણની શ્રેષ્ઠ કામગીરી માટે એનાયત કરવામાં આવ્યો છે. જે સમગ્ર ગુજરાતના સહકારી ક્ષેત્ર માટે ગૌરવ બન્યું છે.
બનાસ ડેરીએ છેલ્લાં કેટલાંક વર્ષોથી સહકાર થી સમૃદ્ધિ હેઠળ ‘જનભાગીદારી’ના વિચારને અપનાવીને જળ સંચય માટે મોટી ઝુંબેશ ચલાવી છે. બનાસકાંઠા જિલ્લાના જળ સ્તરને ઊંચા લાવવાના ઉમદા હેતુથી બનાસ ડેરીએ નવીન 325 થી વધુ તળાવો તથા 30 હજારથી વધુ શોષ કૂવાનું નિર્માણ તથા ભૂગર્ભ જળને ઊંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આજે આ તળાવોના કારણે હજારો એકર જમીનને સિંચાઈ માટે લાભ મળ્યો છે. આ ઉપરાંત બનાસ ડેરીના પ્લાન્ટમાં પણ પાણીના પુનઃઉપયોગ માટે અત્યાધુનિક પ્લાન્ટ્સ સ્થાપીને પાણીનો બગાડ અટકાવવામાં બનાસ ડેરીએ નવી પહેલ કરી છે.
બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ માત્ર બનાસ ડેરીનો નહીં, પણ બનાસકાંઠાના લાખો ખેડૂતો અને પશુપાલકોનો ગણાશે. જેમણે જળસંચયના આ મહાયજ્ઞમાં સક્રિય યોગદાન આપ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેઇન અભિયાનને બનાસ ડેરી અને જન ભાગીદારી થકી સફળ બનાવતા જિલ્લામાં જળ સંચયનુ શ્રેષ્ઠ કાર્ય થઈ શક્યું છે. જળ એ જ જીવન છે અને બનાસ ડેરી માત્ર દૂધ ઉત્પાદન જ નહીં પણ પર્યાવરણ અને જળ સુરક્ષા માટે પણ પ્રતિબદ્ધ છે. આ એવોર્ડ બનાસ ડેરીને જળ સંરક્ષણ ક્ષેત્રે વધુ ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરશે. આગામી સમયમાં પણ જળ સંચય માટે સતત કાર્ય કરવામાં આવશે. ચેરમેનશ્રી શંકરભાઈ આ એવોર્ડને બનાસકાંઠાના લાખો દૂધ ઉત્પાદકોની મહેનતને સમર્પિત કર્યો છે.

