![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/12/c4f21b4d-ae3b-4f98-9f33-0e853efc5f3d.jpg)
બનાસકાંઠા કલેકટર આનંદ પટેલનો સપાટો, ૧૪ જેટલાં અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા
કલેકટરના આ આદેશથી અસામાજિક તત્વોમાં ભય અને ફફડાટ રાજય અને આંતરરાષ્ટ્રી ય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સરસ રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે.
ડિસેમ્બર મહિનામાં ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા ૧૪ જેટલાં અસામાજિક તત્વોને હેઠળ રાજયની વિવિધ જેલોમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-૧૯૮૫ હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો અને તડીપારના કેસોમાં આ દુષણ ડામી દેવા તાકીદે કાર્યવાહી કરવા જિલ્લા મેજીસ્ટ્રેટર આનંદ પટેલે તમામ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટઓને સુચના આપી છે.