![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/12/11_1609148856.jpg)
રાધનપુર હાઇવે પર ટ્રક સાથે અથડાતા અકસ્માત, કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
સામખયારી-રાધનપુર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યાં હતા. માહિતી પ્રમાણે મોરબીના કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ કિરણ મહેશ્વરીના મોટાભાઈ સહિત ત્રણ સભ્યોના મોત નીપજ્યા છે. મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યોના મોતથી મહેશ્વરી સમાજમાં શોકની લાગણી છે.
અકસ્માત અંગે આડેસર પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આજે વહેલી સવારે ગાગોદર ધાણીથર હાઇવે રોડ પર આવેલા હાઇવે પર ઉભેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમા મોરબી રહેતા પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યાં હતા. સ્વીફટ કાર નંબર જીજે12 એ.કે. 1763મા સવાર મોરબી કેમિસ્ટ એસો.ના પ્રમુખ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લજપતભાઈ મોતીરામ મહેશ્વરી અને જયંતિભાઈ મોતીરામ મહેશ્વરી તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી રેખાબેન જયંતિભાઈ મહેશ્વરીનું દુર્ઘટનામા મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.
જયંતી લાલ મોતીરામ મહેશ્વરી કેલા ઉ. વ. 59 લજપતરાય મોતીરામ મહેશ્વરી કેલા ઉ. વ. 65 તેમજ રેખા બેન મહેશ્વરી કેલાને ગંભીર હાલતમાં લાકડીયા ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક સાથે ત્રણ વ્યક્તિઓના ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યા હતા. અકસ્માતમા બે ભાઈઓ અને ભાભીના મોત થતાં મહેશ્વરી સમાજમા શોકની લાગણી ફેલાઈ છે. વધુ તપાસ આડેસર પોલીસ સબ ઇન્સ્પેકટર વાય. કે. ગોહિલે હાથ ધરી છે. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગંભીર અકસ્માત આજે વહેલી સવારે સર્જાયો હતો. જેમાં મહેશ્વરી પરિવારની કારનો બુકડો બોલી ગયો હતો. અને કારમાં સવાર મોરબીના મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યોના કરુણ મૃત્યુ નીપજતા મોરબીના મહેશ્વરી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.