દિવાળીના આગામી તહેવારને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ચૌધરીએ સોના-ચાંદીના વેપારીઓ અને આંગડિયા પેઢીના સંચાલકો સાથે આ બેઠક યોજી હતી. પીઆઈ વી.એમ. ચૌધરીએ બેઠકમાં ઉપસ્થિત વેપારીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારુરૂપે જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દિવાળીના તહેવાર દરમિયાન અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસ ઇન્સ્પેક્ટરે વેપારીઓને અપીલ કરી હતી કે જો તેમને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી જણાય તો તેઓ તુરંત જ પોલીસને જાણ કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચોરી, લૂંટ, મારામારી અને હનીટ્રેપ જેવી ઘટનાઓને અંજામ આપતા અસામાજિક તત્વોને જેલ ભેગા કરવામાં આવશે. પોલીસ દ્વારા તહેવારના માહોલમાં લોકોની સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

