પક્ષ – વિપક્ષ જોયા વિના પ્રજાજનોના વિકાસને કેન્દ્રમાં રાખીને સરકાર કામ કરી રહી છે – મંત્રીશ્રી ઋષિકેશ પટેલ
રાજ્યમાં નવનિર્મિત નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં પણ બાકી રહી જતા અને નવીન વિકાસ કાર્યો સત્વરે શરૂ કરાશે
(જી.એન.એસ) તા. 8
ગાંધીનગર,
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીશ્રીએ વિધાનસભામાં પૂછાયેલા ટી.પી. સ્કીમ સંદર્ભેના એક પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ પણે કહ્યું કે, રાજ્ય સરકાર પક્ષ-વિપક્ષ વિના રાજ્યની તમામ પ્રજાજનોના વિકાસ કાર્યોમાં અવિરત પણે કાર્ય કરી રહી છે.
રાજ્યમાં વધતા જતા શહેરીકરણના પગલે સરકાર દ્વારા સુનોયિજીત પણે આયોજન હાથ ધરીને વિકાસ કાર્યો હાથ ધરાયા છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષમાં 776 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરવામાં આવી છે. તેમાં પણ વર્ષ 2025 ના ફક્ત 8 મહિનામાં 95 જેટલી ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. જેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે.
રાજ્યમાં ટી.પી. એક્ટ ની તમામ જોગવાઇઓ અને નિયમ પ્રમાણે જ કામગીરી કરવામાં આવી રહી છે. કેટલાક કિસ્સામાં ટી.પી. સ્કીમની અમલવારીના વિલંબ થવાના ટેકનીકલ કારણો, કોર્ટ મેટર હોઇ શકે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેનો પણ સત્વરે નિકાલ લાવીને તમામ ટી.પી. સ્કીમ સમયમર્યાદામાં જ પુર્ણ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે જેમાં મહદ્અંશે સફળતા પણ મળી હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતુ.
હાલ રાજ્યમાં 506 જેટલી નવી નગર રચના યોજના(ટી.પી,) બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે કાયદાકીય જોગવાઇ અનુસાર સમયમર્યાદામાં આખરી કરવામાં આવનાર હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યુ હતુ.

