દેશમાં આતંકવાદી ષડ્યંત્ર સામે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની મોટી કાર્યવાહી : પાંચ રાજ્યોમાં 22 સ્થળોએ દરોડા

દેશમાં આતંકવાદી ષડ્યંત્ર સામે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની મોટી કાર્યવાહી : પાંચ રાજ્યોમાં 22 સ્થળોએ દરોડા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જવાના છે એ પહેલા સુરક્ષાની ખાતરી માટે આ કાર્યવાહી કરવામાં આવી NIAએ આ દરોડા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી

દેશમાં આતંકવાદી પ્રવૃતિ ચલાવવાના ષડ્યંત્ર સામે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી(NIA) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આજે સોમવારે સવારે NIAની ટીમોએ જમ્મુ અને કાશ્મીર સહીત પાંચ રાજ્યોમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા છે. અહેવાલ અનુસાર, આતંકવાદી ષડયંત્ર સંબંધિત કેસની તપાસ માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લામાં કેટલાક સ્થળોએ NIAની ટીમો પહોંચી છે.

દેશની આંતરિક સુરક્ષા સામે જોખમ મામલે તપાસ કરવામાં આવી રહી છે. NIAની એક ટીમ બારામુલ્લાના જંગમ ગામમાં પહોંચી હતી. અહેવાલ મુજબ અહીં રાશિદ લોનના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જવાના છે. એ પહેલા સુરક્ષાની ખાતરી માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. NIAએ આ દરોડા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. અહેવાલ મુજબ કેટલાક સ્થળોએ શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે.

NIAને બિહારમાં મળી સફળતા :

તાજેતરમાં NIAને બિહારમાં મોટી સફળતા મળી હતી. શુક્રવારે બિહારના ગોપાલપુરથી ખાલિસ્તાની આતંકવાદી શરણજીતને પકડી પાડવામાં આવ્યો હતો. શરણજીત અમૃતસરના સુવર્ણ મંદિરમાં ગ્રેનેડ હુમલાના કેસમાં આરોપી છે. નોંધનીય છે કે જૂનની શરૂઆતમાં, NIA એ જમ્મુ અને કાશ્મીરના 32 સ્થળોએ દરોડા પાડ્યા હતા.

કુલગામમાં એનકાઉન્ટર :

આજે જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથામણ થઇ હતી, જેમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે, જ્યારે સેનાઓ એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આતંકવાદીઓની હિલચાલ અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ગુદર જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *