બંધ દરમિયાન રાજ્યની સામાન્ય જનજીવન પર મોટો પ્રભાવ પડ્યો,બજારો, દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ મોટાભાગે બંધ જોવા મળી,શાળાઓ અને ખાનગી ઓફિસોમાં પણ અસર
બિહારમાં આજે એટલે કે 4 સપ્ટેમ્બરના રોજ NDA દ્વારા રાજ્યવ્યાપી બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય કારણ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની માતાના અપમાનના વિરોધમાં પ્રદર્શન કરવાનું છે. આ બંધનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે. શરૂઆતથી જ આ બંધનો વ્યાપક પ્રભાવ રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ભાજપ અને NDA ગઠબંધનના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અનેક સ્થળોએ રસ્તા અવરોધ, નારા-બાજી અને વિરોધ રેલીઓ જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ પ્રદર્શનના વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે જેમાં કાર્યકર્તાઓ ‘રાહુલ ગાંધી શરમ કરો’, ‘રાહુલ ગાંધી હાય હાય’, ‘મા કા અપમાન નહીં સહેંગે’ જેવા સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે.
આ બંધમાં ભાજપ મહિલા મોરચા સહિત NDA ગઠબંધનની મહિલા નેતાઓએ આગેવાની લીધી છે. અહેવાલો અનુસાર, આ વિરોધ કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાની પ્રમુખ ધર્મશીલા ગુપ્તા, જેડી(યુ) મહિલા મોરચાની પ્રમુખ ભારતી મહેતા, એલજેપી (આર) મહિલા મોરચાની શોભા સિંહા, આરએલએમની સ્મૃતિ કુશવાહા અને એચએએમ મહિલા સેલની પ્રમુખ સ્મિતા શર્મા જેવા આગેવાનોએ સક્રિય ભાગ લીધો છે. મહિલાઓની મોટી સંખ્યામાં હાજરીથી સ્પષ્ટ થાય છે કે NDAએ આ બંધને સમાજના તમામ વર્ગોમાં વ્યાપક સમર્થન મળવા માટે મહિલા નેતૃત્વને આગળ રાખ્યું છે.
બંધ દરમિયાન રાજ્યની સામાન્ય જનજીવન પર મોટો પ્રભાવ પડ્યો છે. બજારો, દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ મોટાભાગે બંધ જોવા મળી રહી છે. શાળાઓ અને ખાનગી ઓફિસોમાં પણ અસર જણાઈ રહી છે. જોકે, બંધના આહવાનમાં સરકાર અને NDA ગઠબંધન દ્વારા ઈમરજન્સી સેવાઓને બાકાત રાખવામાં આવી છે. એટલે કે હોસ્પિટલો, દવાખાનાઓ, એમ્બ્યુલન્સ અને જરૂરી આરોગ્ય સેવાઓ નિયમિત રીતે ચાલુ રહેશે, જેથી સામાન્ય નાગરિકોને તકલીફ ન પડે. તેમ છતાં જાહેર પરિવહન અને દૈનિક કારોબારમાં અવરોધ સર્જાતા લોકોના રોજિંદા જીવન પર અસર પડી રહી છે.
આંદોલનની તીવ્રતા જોતા સ્પષ્ટ થાય છે કે NDA આ મુદ્દાને લઈને કડક વલણ અપનાવી રહ્યું છે અને કોંગ્રેસ વિરુદ્ધ જનભાવના ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આંદોલન દરમિયાન પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક બન્યું છે, જેથી કાયદો અને વ્યવસ્થા પર અસર ન પડે અને કોઈ અપ્રિય ઘટના ન બને. બિહારનું આ બંધ રાજકીય રીતે મહત્વપૂર્ણ બની શકે છે કારણ કે આગામી ચૂંટણીની દ્રષ્ટિએ NDA આ ઘટનાનો ઉપયોગ લોકોની સહાનુભૂતિ મેળવવા માટે કરી રહ્યું છે.

