પુરતી આરોગ્ય સેવા ઉપલબ્ધ બનાવવાની માંગ સાથે વિપક્ષના નેતા સહિત યુવાનો ભૂખ હડતાલ પર બેઠા
પાટણ તાલુકા હેલ્થ ઓફિસરે ટીમ સાથે સંખારી દોડી જઈને તપાસ હાથ ધરી
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને ઘર આંગણે પ્રાથમિક આરોગ્યની સેવા મળી રહે તેવા ઉદેશ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત બનાવવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા કાર્યરત કરાયેલા આ આરોગ્ય મંદિરોમાં મોટાભાગની આરોગ્ય સેવા ઉપલબ્ધ ન હોવાના હોવાના ગ્રામ્ય વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડતી હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે પાટણ તાલુકાના સંખારી ગામમાં કાર્યરત્ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં પણ કંઈક આવી જ આરોગ્ય સેવાનો છેલ્લા ઘણા સમયથી અભાવ જોવા મળતા આ ગામના જ રહીશ અને તાલુકા પંચાયત પાટણના વિપક્ષ નેતા સોહન પટેલે ગામના લોકોને સાથે રાખીને ગતરોજ આ આયુષ્યમાન આરોગ્ય મંદિરને તાળા મારી ભૂખ હડતાલ પર બેસી આ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં આરોગ્યની સેવા ઉપલબ્ધ બનાવવાની માંગ કરી હતી.
સંખારી ગામમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં પૂરતી આરોગ્ય સેવા ઉપલબ્ધ ન બનતા તાળા મારવાની ઘટનાની જાણ પાટણ ડીએચઓ અને પાટણ ડીએચઓને જાણ થતાં પાટણ તાલુકા હેલ્થ ઓફિસરે ટીમ સાથે સંખારી ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી. અને જરૂરી તપાસ હાથ ધરી ફરજ પરના અધિકારી અને ગ્રામજનો પાસેથી આરોગ્ય લક્ષી સેવાની માહિતી મેળવી તેનો રિપોર્ટ તૈયાર કરી જિલ્લા આરોગ્ય અધિકારીને સુપ્રત કરી સંખારી ગામના ગ્રામજનોની ગામમાં કાયૅરત આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા અધિકારીની અન્યત્ર બદલીની માંગને જોતા ટુક સમયમાં ફરજ પરના અધિકારીની અન્યત્ર બદલી કરી સંખારી ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવનાર હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
સંખારી ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર મુદ્દે પાટણ તાલુકા પંચાયતના વિપક્ષના નેતા સોહન પટેલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના મોટા ભાગના ગામોમાં કાર્યરત્ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં આરોગ્યની સેવાનો અભાવ છે. અને આના રેલા છેક જિલ્લા પંચાયત સુધી પહોચતા હોવાના પણ તેઓએ આક્ષેપો સાથે જવાબદાર અધિકારી દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોને સાચા અર્થમાં આરોગ્યની સેવા ઉપલબ્ધ બને તે માટે તેઓએ માંગ કરી છે.

