આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી

આવતીકાલથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠશે જય અંબેના નાદથી

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. જિલ્લા કક્ષાની ૨૯ સમિતિઓ સહિત મંદિર ટ્રસ્ટ અને  ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે ચાલુ વર્ષે પદયાત્રીઓની સુવિધાઓમાં વધારો કરાયો છે.

અંબાજી મહા મેળામાં સાત દિવસ દરમિયાન ૩૦ લાખથી પણ વધારે યાત્રિકો આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે અને અંબાજી વહીવટદાર કૌશિક મોદી દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેશ અને રાજ્યના પદયાત્રી માઇભક્તોને અંબાજી પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પદયાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા; અંબાજી ખાતે આવતા યાત્રિકો માટે કુલ ચાર સ્થળોએ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. શ્રી અંબિકા ભોજનાલય અંબાજી, દિવાળી બા ગુરૂભવન દાંતા રોડ, ગબ્બર તળેટી અને વ્યંકટેશ માર્બલની બાજુમાં દાંતા રોડ ખાતે નિશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ છે.

૩૫ સ્થળોએ પાર્કિગની વિશેષ સુવિધા; અંબાજી ખાતે આવતા વાહનો માટે કુલ ૧ લાખ ૮૩ હજાર ૮૫૫ ચોરસ મીટર એરિયામાં કુલ ૩૫ જેટલા પાર્કિંગ ઊભા કરાયા છે જેમાં કુલ ૨૨૫૪૧ કરતા વધારે વાહનો પાર્ક કરી શકાશે. દાંતા રોડ પર ૨૩ તથા હડાદ રોડ પર ૧૨ પાર્કિંગ સ્થળો ઊભા કરાયા છે. ચાલુ વર્ષે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા પાર્કિંગ બુક કરી શકે તે માટે Show my Parking એપ્લિકેશનની ઑનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

પાર્કિંગ સ્થળ થી મંદિર જવા- આવવા માટે વિનામૂલ્યે બસની વ્યવસ્થા; અંબાજી ખાતે આવતા માઇભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા – આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મીની બસ સેવા સર્વિસ આપવામાં આવશે. દાંતા રોડ પર પાંછા બસ સ્ટેશન પાસેના પાર્કિંગ થી તથા હડાદ રોડ માટે ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શનપથ સુધી મીની બસ સેવાની આવવા – જવા માટે વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે.

૨૮ પ્રસાદ કેન્દ્રો થકી ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટનું વિતરણ; અંબાજી મહા મેળામાં જેટલું મહત્વ પદયાત્રા અને દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ હોય છે. મહામેળામાં પ્રસાદ વિતરણ માટે કુલ ૨૮ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મેળા દરમિયાન કુલ ૧૦૦૦ થી ૧૨૦૦ ઘાણ જેટલી પ્રસાદ બનાવવામાં આવશે. ૧ ઘાણમાં કુલ ૩૨૬.૭ કિલોગ્રામ પ્રસાદ બનશે. ૭૫૦ જેટલા કારીગરો પ્રસાદ બનાવવાની કામગીરી કરશે. મેળા દરમિયાન ૩૦ લાખથી વધુ પ્રસાદના પેકેટ વિતરણ કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *