અંબાજીમાં એસ.ટી વિભાગ દ્વારા ૧૩૦૦ બસો મૂકવામાં આવસે અને ચાર હજાર કર્મચારી અધિકારીઓ તૈનાત રહેશે

અંબાજીમાં એસ.ટી વિભાગ દ્વારા ૧૩૦૦ બસો મૂકવામાં આવસે અને ચાર હજાર કર્મચારી અધિકારીઓ તૈનાત રહેશે

યાત્રાધામ અંબાજીમાં આગામી યોજાનારા ભાદરવી મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓની પરિવહન વ્યવસ્થા માટે એસ ટી વિભાગ દ્વારા આગવું આયોજન હાથ ધર્યું છે. જ્યાં 1300 એસટી બસો મૂકવામાં આવશે. જેમાં ચાર હજાર જેટલા એસટી કર્મચારીઓ અને અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તૈનાત રહેશે.

યાત્રાધામ અંબાજીમાં આગામી 1 સપ્ટેમ્બરથી યોજાનારા ભાદરવી મહાકુંભમાં લાખો માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે આવશે. ત્યારે માઈ ભક્તોને મા અંબાના દર્શન કરી પોતાના નિર્ધારિત સ્થાને પરત મૂકવા માટે એસટી વિભાગ દ્વારા પણ મુસાફરોની પરિવહન વ્યવસ્થા માટે આગવું અને સુચારૂં આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે એસ.ટી. વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ગત વર્ષના મેળા દરમ્યાન એસ.ટી વિભાગને રૂ 3.21 કરોડની આવક ઊભી થઇ હતી. જ્યારે આગામી મેળામાં યાત્રિકોની વધતી જન સંખ્યાને ધ્યાને લઈ આગવું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં અંબાજી, ડીસા, પાલનપુર અને સિદ્ધપુર ડેપોની 365 મોટી બસો અને 40 મીની બસો જ્યારે અમદાવાદ, મહેસાણા અને હિંમતનગર ડિવિઝનની 900 મળી કુલ 1300 એસટી બસો દ્વારા સમગ્ર મેળાની પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સાત દિવસિય મહા મેળામાં એસ.ટી વિભાગના વિભાગીય નિયામક વિભાગીય પરિવહન અધિકારીની સીધી દેખરેખ હેઠળ એસટી વિભાગના ચાર હજાર જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક ભક્તોને પરિવહન સેવામાં તૈનાત રહેશે. જ્યારે દાંતાથી અંબાજી સુધી પણ 10 મીની બસો દ્વારા યાત્રિકોની પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અંબાજી આસપાસનો ઘાટી વિસ્તાર જોતા આકસ્મિક સંજોગો માટે ક્રેઇનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એ સાથે એસ.ટી વિભાગ દ્વારા પ્રતિદિન એક હજાર જેટલા એસ.ટી કર્મચારીઓ અને મિકેનિક સ્ટાફ માટે પણ ભોજનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *