તાજેતરમાં અમદાવાદના મણિનગરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થી નયન સંતાણીની ઘાતકી હત્યાના બનાવથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફેલાયો છે. આ ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે, અને અનેક શહેરોમાં હિન્દુ સંગઠનો તેમજ સિંધી સમાજ દ્વારા આરોપીઓને તાત્કાલિક પકડીને સખત સજા આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનો અને આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે.
આ ઘટનાના વિરોધમાં, ડીસા શહેરમાં પણ હિન્દુ અને સિંધી સમાજ દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી બાદ, નાયબ કલેક્ટરને એક આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે ત્રણ માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો, સિંધી સમાજના યુવાન નયન સંતાણીની હત્યા કરનારા તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી, તેમના વિરુદ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને કડક પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને અને ઘટના સમયે યુવાનને સમયસર સારવાર ન આપવા અને બેદરકારી દાખવવા બદલ સેવન્થ ડે સ્કૂલ મેનેજમેન્ટ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે આ ઘટના સમગ્ર સિંધી સમાજ માટે આઘાતજનક છે અને તેઓ આ ઘાતકી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરે છે.ત્યારે નોંધનીય છે કે, ડીસામાં આયોજિત આ મૌન રેલી અને આવેદનપત્ર સુપરત કરવાના કાર્યક્રમમાં ભાજપ કે કોંગ્રેસના એક પણ સ્થાનિક કે મોટા નેતા હાજર રહ્યા ન હતા. હિન્દુ સમાજની નારાજગી એ વાત પરથી સ્પષ્ટ થઈ કે, જે પક્ષો માત્ર હિન્દુ વોટબેંકની રાજનીતિ કરે છે, તેઓ આવા સંવેદનશીલ મુદ્દા પર હિન્દુ સમાજની પડખે ઊભા રહેવામાં નિષ્ફળ ગયા છે. રાજકીય નેતાઓની આ સૂચક ગેરહાજરીએ લોકોમાં ભારે નિરાશા અને રોષ ફેલાવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ ઘટનાને લઈને ન્યાયની માંગ ઊઠી રહી છે, ત્યારે સરકાર અને પોલીસ દ્વારા આ મામલે કયાં પગલાં ભરવામાં આવે છે, તે જોવું મહત્ત્વનું રહેશે.

