કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાની નકલ ફાડી નાખી
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. ગુરુવારે દિલ્હી વિધાનસભામાં આ મુદ્દે ચર્ચા કરવા માટે એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કૃષિ કાયદાની નકલ ફાડી નાંખી હતી. તેમણે કહ્યું કે મહામારી દરમિયાન આ કાયદાઓ પસાર કરવાની શું જરૂર હતી. તેમણે કહ્યું, ‘રાજ્યસભામાં મતદાન કર્યા વિના આવું પહેલીવાર થયું છે ત્રણ કાયદા પસાર કરવામાં આવ્યા હોય. હું આ કાયદાઓની નકલફાડુ છું અને હું કેન્દ્રને અપીલ કરું છું કે અંગ્રેજ કરતા ખરાબ ન બને.’
કેજરીવાલે કહ્યું કે આંદોલન દરમિયાન 20થી વધુ ખેડુતોનાં મોત નીપજ્યાં છે. દરરોજ સરેરાશ એક ખેડૂત શહીદ થઈ રહ્યો છે. તેમનો અવાજ સંભળાવવા માટે કેટલું વધુ બલિદાન આપવું પડશે. સત્ર પછી કેજરીવાલે કહ્યું કે દિલ્હી વિધાનસભાએ ત્રણેય કૃષિ કાયદાઓને નકારી દીધા છે. આ સાથે જ કેન્દ્ર સરકારને આ કાળા કાયદાઓને પરત ખેંચવાની અપીલ કરી હતી.
ખેડૂતોએ કહ્યું- સરકાર સાથે વાત કરવા માટે રાજી
બીજી બાજુ ટિકરી બોર્ડર પર ધરણા આપી રહેલા ખેડૂતોએ કહ્યું કે, તે સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છે, પણ કૃષિ કાયદાનો વિરોધ કરવાનું નહીં છોડે. તેમણે કહ્યું કે, સરકાર પોતાનો અહંકાર બચાવવા માટે હવે સુપ્રીમ કોર્ટનો સહારો લઈ રહી છે.
ઉત્તરપ્રદેશની 18 ખાપ પંચાયતોએ ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું છે. આ ખાપ આજે દિલ્હીની સરહદ પર પ્રદર્શનમાં સામેલ થઈને મહાપંચાયત કરશે. મહાપંચાયત અંગે ગુપ્ત વિભાગ એલર્ટ છે.બાલિયાન ખાપના ચૌધરી નરેશ ટિકૈતે કહ્યું કે, અત્યાર સુધી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ નકલી ટેબલો કાઢવામાં આવતા હતા, પણ આ વખતે ખેડૂતોનો વાસ્તવિક ટેબલો પણ પરેડમાં સામેલ થશે. જો સરકાર કૃષિ કાયદાને પાછો નહીં લે તો ભાજપને આગામી ચૂંટણીમાં મોટું નુકસાન થશે.
સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલન માટેની સુનાવણી હાલપૂરતી ટળી ગઈ છે. કોર્ટમાં કોઈ ખેડૂત સંગઠન ન હોવાને કારણે કમિટી અંગે નિર્ણય થઈ શક્યો નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે ખેડૂતો સાથે વાત કરીને જ પોતાનો નિર્ણય સંભળાવશે. આગળ આ મામલાની સુનાવણી બીજી બેન્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં શિયાળાની રજા છે, એવામાં વેકેશન બેન્ચ આની સુનાવણી કરશે.