અલીગઢ મુસ્લીમ યુનિ.ના શતાબ્દી સમારોહને સંબોધશે વડાપ્રધાન મોદી
દેશની ખ્યાતનામ અને વિવાદાસ્પદ યુનિ.ને પ્રથમ વખત કોઈ વડાપ્રધાનનું સંબોધન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.22 ડિસેમ્બરે દેશની ખ્યાતનામ અને સાથે વિવાદાસ્પદ અલીગઢ મુસ્લીમ યુનિ.ના શતાબ્દી સમારોહને સંબોધન કરશે. અલીગઢ મુસ્લીમ યુનિ.ના કાર્યક્રમમાં દેશના કોઈ વડાપ્રધાન મુખ્ય અતિથિ બન્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે. મૂળ યોજના મુજબ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આ સમારોહને સંબોધીત કરનાર હતા પણ આખરી ઘડીએ શ્રી મોદીના સંબોધનનો નિર્ણય લેવાયો હતો.
અનેક પ્રકારના વિવાદોમાં સપડાયેલી અને ભાજપ સાથે પણ ટકકરમાં આવતી આ યુનિ.ને વડાપ્રધાન શ્રી મોદીનું સંબોધન મહત્વનું બની રહેશે. યુનિ.ના વાઈસ ચાન્સેલર પ્રા. તારીક મન્સૂરે જાહેર કર્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અમોએ આ શતાબ્દી સમારોહને સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું હતું અને તે સ્વીકારાયું છે. જે બદલ અમો વડાપ્રધાનના આભારી છીએ.અલીગઢ યુનિ. 100મી વર્ષગાંઠ ઉજવી રહી છે. વડાપ્રધાન તા.22ના વિડીયો કોન્ફરન્સથી આ સંબોધન કરશે.