બિલીપત્ર-દૂધથી પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભકતોએ પુજા કરી
પાટણ શહેર અને જિલ્લાના શિવમંદિરોમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શિવભક્તોએ એક મહિના સુધી ભકિતમય માહોલમાં પૂજન-અર્ચન કરી ભગવાન ભોળાનાથને રિઝવ્યા હતા. પાટણ શહેરમાં સિધ્ધનાથ મહાદેવ,બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ,ગુપ્તેશ્વર મહાદેવ,ત્રિપુરારેશ્વર મહાદેવ, પદમેશ્વર મહાદેવ, ગોપેશ્વર મહાદેવ, છત્રપતેશ્વર મહાદેવ સહિત 14 પ્રમુખ શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જામી હતી. શિવભક્તોએ બિલીપત્ર, દૂધ અને જળ સહિત વિવિધ દ્રવ્યોથી ભગવાન શિવજીનો અભિષેક કર્યો હતો.સાંજના સમયે વિવિધ શિવમંદિરોમાં નયનરમ્ય ભગવાનની આગી સહિત મહા આરતી તેમજ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં શિવમંદિરોમાં આરતી ના દર્શન -પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

