જૂનાગઢના પૂર્વ નવાબના વંશજોએ પાકિસ્તાન તરફી સૂર છેડ્યો, વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
જૂનાગઢના પૂર્વ નવાબના વંશજોએ ફરી પાકિસ્તાન તરફી સૂર છેડ્યો છે. કરાચીમાં રહેતા જૂનાગઢના પૂર્વ નવાબ મહોબતખાન ત્રીજાના વંશજ મોહંમદ જહાંગીરખાને પોતાના પુત્ર સાહબજાદા સુલતાન અહેમદને જાતે જ વઝીર-એ-આઝમ એટલે કે પ્રધાનમંત્રી બનાવ્યો છે. ત્યાર બાદ સુલતાન અહેમદતે જૂનાગઢને પાકિસ્તાનનું ગણાવ્યું હતું.
આ માટે તેમણે ઓફિશિયલ રેકગ્નિશન સેરીમની ઓફ દીવાન ઓફ જૂનાગઢ સ્ટેટ બેનર હેઠળ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે પોતાના પુત્રને આ પદવી આપતો વિડિયો જારી થયો હતો.
સાહબજાદા સુલતાન અહેમદે પોતાના ભાષણમાં જૂનાગઢ પાકિસ્તાનનું હોવાનું જણાવ્યું હતું. સાહબજાદા સુલતાન અહેમદે બાદમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે જૂનાગઢનો કેસ કાનૂની અને રાજકીય હોવાનું તેમજ જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો હોવા અંગે દુનિયાનું ધ્યાન ખેંચવા માગતા હોવાનું પણ જણાવ્યું હતું. વિડિયોમાં હાલ પાકિસ્તાનમાં જૂનાગઢના મૂળ વતની હોય એવા 25 લાખ લોકો રહેતા હોવાનો દાવો પણ તેમણે કર્યો છે, સાથે એમ પણ જણાવ્યું છે કે ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા સર શાહનવાઝખાન ભુટ્ટો બાદ હવે પોતે જૂનાગઢના દીવાન તરીકેની બાગડોર સંભાળી છે અને હવે પોતે જૂનાગઢના પ્રશ્ન તરફ દુનિયાનું ધ્યાન ખેંચશે. જૂનાગઢ એ કોઇ અલગાવવાદી ચળવળ નથી, પણ તેના પર લશ્કરી બળથી કબજો મેળવી લેવાયો છે, એવું નિવેદન પણ તેમણે આપ્યું હતું.